કેસ હારી જતા યોગગુરુ વિક્રમ ચૌધરીનું ‘સામ્રાજ્ય’ છીનવાયું 04/01/2017 5:53 am Khushali Dave યોગના આગવા સ્વરૂપ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિક્રમ યોગાના સ્થાપક ૭૦ વર્ષીય વિક્રમ ચૌધરી લોસ એન્જલસમાં જાતીય સતામણીનો કેસ હારી જતા તેમને વિશ્વભરના ૭૦૦ જેટલા વિક્રમ યોગા સ્ટુડિયોના માલિક પદેથી હટાવી દેવાયા હતા અને ૧૩ રોલ્સ રોઈસ, ૮ બેન્ટલી અને ૩ ફેરારી કાર સહિત ૪૩ જેટલી વૈભવી કારનો હવાલો સોંપી દેવા આદેશ કરાયો હતો. ચૌધરીએ ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં કેલિફોર્નિયામાં 40C યોગ કસરત કેન્દ્રો શરૂ કર્યા હતા. મેડોના, બિયોન્સ અને ડેવિડ બેકહામ જેવી હસ્તીઓ પણ આ યોગ કરતી હતી.
હોનારતમાં સેવાકાર્ય બદલ ઋષાંગ જોશીનું કેનેડા સરકાર દ્વારા સન્માન 04/01/2017 5:23 am Khushali Dave કેનેડાના અલ્બર્ટો સ્ટેટમાં આવેલા ફોર્ટમેકરી સિટીમાં ભીષણ આગની હોનારત સર્જાઇ હતી. આગની હોનારત વખતે વડોદરાના ઋષાંગ મનોજકુમાર જોશીએ સ્થળાંતર અને પુનઃવસનની કામગીરી ઉત્કૃષ્ઠ રીતે બજાવી હતી. જેથી તેના કાર્યની નોંધ લઇ કેનેડા સરકાર તરફથી અલ્બર્ટા સ્ટેટના પ્રીમિયર દ્વારા સ્મૃતિચિહ્ન અને પ્રશંસાપત્ર-સર્ટિફિકેટ આપીને ઋષાંગનું સન્માન કર્યું હતું.
ગીરમાં ત્રણ માસમાં સિંહદર્શનઃ રોપ-વે બે વર્ષમાં પૂર્ણ થશે 04/01/2017 5:35 am Khushali Dave પારિવારિક ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા માટે પોતાના વતન ચણાકા ગામ ખાતે આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૨૫મી ડિસેમ્બરે જૂનાગઢની જનતા માટે બે મહત્ત્વની જાહેરાત કરતા આગામી ત્રણ માસમાં ગિરનાર અભયારણ્યમાં સિંહદર્શન શરૂ કરવાની સાથે બે વર્ષમાં રોપ વેની કામગીરી પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ગિરનારની માફક ધારીના આંબરડી વિસ્તારમાં પણ સફારી પાર્ક બનાવવા કવાયત કરવામાં આવશે.
ન્યૂ યોર્કમાં શીખ પોલીસ અધિકારી પાઘડી પહેરી શકશે 04/01/2017 5:54 am Khushali Dave શહેરના પોલીસ કમિશનરે શીખ પોલીસ અધિકારીઓને ફરજ દરમિયાન પાઘડી પહેરવાની મંજૂરી આપતી જાહેરાત કરી છે. આ પાઘડી વાદળી રંગની હશે અને તેના પર NYPDનું પ્રતીક હશે. વધુમાં NYPD ના ધાર્મિક સભ્યો અડધા ઈંચ સુધી દાઢી પણ રાખી શકશે. NYPD માં ૧૬૦ શીખ ફરજ બજાવે છે. અત્યાર સુધી તેઓ પટકા તરીકે ઓળખાતી નાની પાઘડી ઉપર કેપ પહેરતા હતા અને તેમને દાઢી વધારવાની પણ મનાઈ હતી.
ખોડલધામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 04/01/2017 5:38 am Khushali Dave સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવ સમા જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલા ખોડલધામ મંદિરનું નિર્માણ પાંચ વર્ષ બાદ પૂર્ણ થવા જઈ રહ્યું છે. રૂ. ૬૦ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થયું છે. અત્યાર સુધીમાં રૂ. ૧૩૦ કરોડનું દાન મંદિરને મળ્યું છે. ૧૭મી જાન્યુઆરીથી ૨૧મી જાન્યુઆરીમાં ખોડલધામમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
કિશોર ભજિયાવાલાની બે પુત્રો સહિત આકરી પૂછપરછ 04/01/2017 5:25 am Khushali Dave કિશોર ભજીયાવાલા અને તેના બે પુત્રો તેમજ સુરત પીપલ્સ કો.ઓ. બેંકના સિનિયર જનરલ મેનેજર પંકજ ભટ્ટ સામે ગાંધીનગર સીબીઆઈએ કેસ રજિસ્ટર્ડ કરીને દરોડાની કાર્યવાહી હાથ ધરતા વધુ રૂ. ૧૧૯૮ લાખની રૂ. ૨ હજારની નવી નોટ મળી આવી છે. એટલું જ નહીં સુરત પીપલ્સ કો. ઓ. બેંક સિનિયર જનરલ મેનેજર પંકજ ભટ્ટના રહેઠાણે પણ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે.
રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે 04/01/2017 5:40 am Khushali Dave રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ રાજકોટમાં ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. માટે હાલ પ્રિફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવનાર છે. કૂવાડવા પાસે ૧૨૦૦ હેક્ટર જમીનમાં એરપોર્ટ વિકસાવવા માટેનું પ્લાનિંગ થઇ રહ્યું છે.