રાજકોટ: ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા કેટલાક સમયથી ભલે ટીમ ઇન્ડિયા બહાર ભલે હોય, આ ટેક્નિકલી કાબેલ બેટરે વાપસીની આશા છોડી નથી. ઘરેલુ ક્રિકેટમાં પુજારા સતત સારો દેખાવ કરે છે. આઇપીએલ પછી ટીમ ઇન્ડિયા આગામી દિવસોમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે ઇંગ્લેન્ડ જવાની છે ત્યારે પુજારા ઈંગ્લેન્ડનાં વાતાવરણ માટે અનુકૂળ બેટ્સમેન છે અને પસંદગીકારોના રડાર પર પણ છે. પૂજારાનો સંઘર્ષ જગજાહેર છે. રાજકોટની શેરીમાંથી શરૂ થયેલી સફરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતાના કેવા ડંકા વગાડયા તેને શબ્દદેહ ખુદ તેની પત્ની પૂજા પાબારીએ આપ્યો છે. પૂજાએ તેના જીવનસાથી ચેતેશ્વરની આત્મકથા-સમાન પુસ્તક અંગ્રેજીમાં લખીને પ્રકાશિત કર્યું છે, જેનું શીર્ષક ‘ધ ડાયરી ઓફ એ ક્રિકેટર્સ વાઇફ’ છે. પુસ્તકમાં પૂજાએ ચેતેશ્વરની 2013થી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય કેરિયરના ઉતારચડાવની નિખાલસ વાતો કરી છે. ક્રિકેટ ટૂરના અનુભવોનું વર્ણન કર્યું છે. કોઇ ખેલાડીની પત્નીએ પતિની બાયોપિક પુસ્તક પ્રગટ કરી હોય તેવો આ લગભગ પ્રથમ પ્રયાસ છે. પુસ્તકની અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ જેવા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ પ્રશંસા કરી છે. પુસ્તકમાં ચેતેશ્વર પુજારાના સંઘર્ષ અને સફળતાની તસવીરી ઝલક પણ જોવા મળે છે.