જીવનની સાચી સમૃદ્ધિ શું છે?

- રોહિત વઢવાણા Tuesday 20th May 2025 04:56 EDT
 
 

મોટા ભાગના લોકો આજે ધન-સંપત્તિને સમૃદ્ધિ માનવાની ભૂલ કરે છે. તેમને લાગે છે કે વધારે પૈસા હોવા એટલે વધારે સમૃદ્ધ હોવું, પરંતુ વાસ્તવમાં એવું નથી. જીવનનો આધાર માત્ર પૈસા પર નથી. માત્ર ભૌતિક સંપત્તિ પર નથી. જીવનને સમૃદ્ધ બનાવવા માટે બીજા અનેક પરિબળોની હાજરી આવશ્યક છે. જેમ કે:

તંદુરસ્તી: જે વ્યક્તિ તંદુરસ્ત ન હોય તે પોતાના પૈસાનો પણ ઉપયોગ કરી શકતી નથી. જીવનના મોજશોખ માણવા માટે વ્યક્તિનું તંદુરસ્ત હોવું જરૂરી છે. કેટલાય લોકોને જોયા છે જેઓ જીવનના આઠમા દશકમાં પણ કોઈ મોટી બીમારી વિના પ્રમાણમાં તંદુરસ્ત જીવન જીવતા હોય છે, હાલતાં ચાલતા હોય છે અને પરિવાર તેમજ મિત્રો સાથે આનંદપ્રમોદ કરતા હોય છે. જયારે તેનાથી વિરુદ્ધ પચાસેય ન પહોંચ્યા હોય અને પચીસ રોગોથી પીડાતા લોકો પણ જોવા મળે છે. આ બંને પૈકી વધારે સમૃદ્ધ વ્યક્તિ નિર્વિવાદપણે એ એંસી વટાવેલ વ્યક્તિ જ કહેવાય. ભલે પછી તેની પાસે ધન ઓછું હોય.

ઉદેશ્યપૂર્ણ જીવન: જે વ્યક્તિને રોજ સવારે ઉઠીને કૈંક કરવાની ધગશ હોય, તાલાવેલી હોય, જેના જીવનમાં કોઈ ઉદેશ્ય હોય તે વ્યક્તિ સમૃદ્ધ જીવન જીવે છે. નિરુદ્દેશે દિવસો પસાર કરતી વ્યક્તિને જીવનમાં, સમાજમાં કે બીજી કોઈ પ્રવૃત્તિમાં રસ હોતો નથી અને પરિણામે તે દરેક બાબતથી જલ્દી કંટાળી જાય છે. તેની દિનચર્યા અર્થહીન હોય છે. તેને આવનારા પાંચ વર્ષમાં શું કરવું છે તેનો ખ્યાલ હોતો નથી. તેને ભાગ્યે જ કોઈ પ્રવૃત્તિ આનંદ આપે છે. તે ભલે રોજ સાંજે પાર્ટી કરે, પૈસામાં રેલમછેલ કરે, પરંતુ તેનું જીવન અર્થપૂર્ણ બનતું નથી.

મિત્રો અને પ્રેમાળ પરિવાર: આજે સમાજમાં સારા મિત્રોની અને પ્રેમ કરે તેવા પરિવારની અછત વર્તાવા લાગી છે. લોકોના લગ્ન તૂટી રહ્યા છે. પરિવારમાં ઝગડા વધી રહ્યા છે. સૌ પોતપોતાની જિંદગીમાં મસ્ત છે અને બીજા માટે કોઈની પાસે સમય નથી. આવા સમયે માણસ એકલતાને કારણે હતાશા અનુભવે છે. માનસિક રોગનો શિકાર બને છે. નિરાશ અને એકલવાયું જીવન જીવનાર વ્યક્તિ ગમેતેટલો પૈસાદાર હોય તો પણ તેને સમૃદ્ધ ન કહી શકાય. તે ભલે પોતાના પૈસા ફૂંકીને લોકોને પાર્ટી કરાવે પરંતુ તેના સંબંધ કેટલા સાચા છે તેની પોતાને પણ જાણ હોય જ છે.

આરામ અને આનંદપ્રમોદ માટે સમય: વ્યક્તિ સવારે ઉઠે ત્યારથી રાત્રે ઊંઘે ત્યાર સુધી જો કામમાં જ વ્યસ્ત રહે, તેની પોતાના શરીર અને મનને આરામ આપવા માટે સમય ન હોય, પોતાના મોજશોખ માટે સમય ન મળતો હોય તો તેને સમૃદ્ધ કહી શકાય ખરો? રાત-દિવસ ટાર્ગેટ પૂરું કરવાનો તણાવ રહેતો હોય, પ્રેઝન્ટેશન બનાવવા પડતા હોય, મિટિંગ કરવી પડતી હોય, કામને માટે પ્રવાસ કરવા પડતા હોય, અને આ બધામાંથી તેને પોતાના માટે સમય જ ન મળતો હોય તો તે પૈસે-ટકે ગમેતેટલો સુખી હોય, પરંતુ જીવનની સમૃદ્ધિમાં તો પાછળ જ રહી ગયો કહેવાય.

સ્વમાન અને સન્માન: વ્યક્તિને પોતાના માટે સ્વમાન હોવું જોઈએ. પોતે ઓફિસમાં સૌથી ઊંચી પદવી પર નથી એવું વિચારીને તે પોતાને માન ન આપે, પ્રમોશન મળે તો જ જીવન સફળ એવું માનીને હંમેશા પોતાની જાતને તિરસ્કારતો રહે તો તેનું જીવન સમૃદ્ધિથી ઘણું દૂર છે. તેવી જ રીતે માણસ જ્યાં રહેતો હોય ત્યાંના લોકોમાં સન્માન મેળવી શકે, તેમનાથી આદર પ્રાપ્ત કરી શકે તો તેનું જીવન સમૃદ્ધ થાય છે. તેને સમાજમાં રહેવામાં આનંદ આવે છે. લોકો પાસેથી મળતો પ્રેમ તેને પોતાના જીવન પ્રત્યે પણ પ્રેમ ઉપજાવે છે. સંપૂર્ણ સમૃદ્ધિ માટે વ્યક્તિમાં પોતાના માટે સ્વમાન અને સમાજમાં સન્માન મેળવવું આવશ્યક છે.

જીવન ચલાવવા જેટલી સંપતિઃ માણસ પાસે એટલું ધન તો હોવું જ જોઈએ કે તેને બીજા કોઈ પાસે હાથ ન ફેલાવવા પડે. પોતાની અને પરિવારની જરૂરિયાતો પુરી કરવા માટે આવશ્યક હોય તેટલા પૈસા અને ભૌતિક સંપત્તિ વ્યક્તિએ કમાવી જોઈએ. માણસ પોતાનું માથું ઊંચું કરીને જીવી શકે તેટલી સંપત્તિ ધરાવતો હોય તો તેને સમૃદ્ધ કહી શકાય. કોઈની સાથે સરખામણી કરીને, કોઈથી ઓછું કે વધારે ધન હોવાની વાતમાં પડ્યા વિના માત્ર પોતાની અને પરિવારની આવશ્યકતા જેટલું રળી લેનાર વ્યક્તિ સમૃદ્ધ છે તેમાં બે મત નથી.

આટલા પરિમાણોને આધારે વ્યક્તિની સમૃદ્ધિ નક્કી કરવામાં આવે તો તેનું જીવન સર્વાંગી બન્યું કહેવાય અને તેમાં કોઈ વાતની ખામી ન રહે. માત્ર પૈસા કે પદવીના આધારે જે વ્યક્તિ પોતાની સમૃદ્ધિ નક્કી કરે છે તેનામાં દીર્ઘદૃષ્ટિની કમી છે. તેની વિચારસરણી સંપૂર્ણ રીતે ખીલી નથી. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus