જીવનને સરળ-સફળ બનાવવા માટે અજમાવી જૂઓ 20ઃ80નો નિયમ

- રોહિત વઢવાણા Wednesday 22nd November 2023 05:16 EST
 
 

દિવાળી ગઈ અને વિક્રમ સંવતનું વર્ષ 2080 શરૂ થઇ ગયું. નવા વર્ષની શુભેચ્છાઓ સાથે સાથે સૌને 20ઃ80ના રેશિઓ અંગે ફરીથી એક વાર યાદ કરાવીએ. પરેટો પ્રિન્સીપલ અનુસાર 80 ટકા કામ એવા હોય છે જે માત્ર 20 ટકા મહેનતથી થઇ જાય છે અને બાકીના 20 ટકા કામ એવા હોય છે જે આપણી 80 ટકા મહેનત માંગી લે છે. આ દૃષ્ટિએ જયારે કામોની લાંબી યાદી આપણી સામે હોય ત્યારે એવા 80 ટકા કામો પહેલાં કરવા જોઈએ કે જે માત્ર 20 ટકા મહેનતથી પાર પડી જાય. બાકીના 20 ટકા કામોને ત્યારબાદ જ શરૂ કરવા હિતાવહ છે, જેથી કરીને આપણી કામોની યાદીમાંથી 80 ટકા કામો ઓછા થઇ ગયા હોય.

સંવત 2080માં આપણે જીવનમાં પણ એવો જ સિદ્ધાંત અપનાવવાનો છે. માત્ર 20 ટકા સમય અને ઉર્જા ખર્ચીને આપણે કરવા પડતા કામો પૈકી 80 ટકા કામો પૂરા કરી લેવા અને બાકીનો 80 ટકા સમય અને ઉર્જા એવા કામોમાં લગાડવા જે કરવા પડતા ન હોય, પરંતુ કરવા ગમતા હોય. પોતાના અને પરિવારના, મિત્રોના અને સંબંધીઓના ભલા માટે, સૌને ઉપયોગી બનવા માટે આપણી મહેનત અને ઉર્જાને એવી રીતે કામે લગાડવી કે તેનો મહત્તમ ફાયદો મળે. નાહકના જ મુશ્કેલ કામોમાં બધી મહેનત કરીને નબળું પરિણામ મેળવવા કરતા સરળ અને સહેલાઈથી થઇ શકે તેવા કામોમાં થોડો ઘણો સમય આપીને વધારે સારું પરિણામ મેળવવાથી આપણો ઉત્સાહ પણ બની રહે છે અને પેન્ડિંગ કામોની યાદી પણ ટૂંકી થતી જાય છે.

આ સિદ્ધાંતનો અર્થ એ પણ છે કે આપણી 80 ટકા સમસ્યાઓ માટે પણ માત્ર 20 ટકા કારણો જ જવાબદાર હોય છે. આ એવા પરિબળ હોય છે કે જે વારેવારે આપણા કામમાં, જીવનમાં કે બીજી કોઈને કોઈ રીતે અડચણો ઉભી કરતા હોય છે. જો આ 20 ટકા પરિબળોને ઓળખીને તેમનું નિરાકરણ કરી લેવામાં આવે તો મોટાભાગની સમસ્યા હલ થઇ જાય. બાકીના 20 ટકા પ્રોબ્લેમ્સ સાથે જીવી શકાય અથવા તો તેમનું પણ ધીમે ધીમે નિરાકરણ આવી જ જાય. પરંતુ જો 80 ટકા સમસ્યાઓ એક વખત આપણા માથેથી હટી જાય તો ટેન્શન કેટલું હળવું થઇ જાય? એટલા માટે જ પહેલા જલ્દીથી નિવેડો આવે તેવા પ્રશ્નો ઉકેલી લેવા સારા.

પરેટો પ્રિન્સિપલને ત્રીજી રીતે વિચારીએ. જીવનમાં આપણને મળતા લોકો પૈકી 20 ટકા જ એવા હોય છે કે જેમનું આપણને 80 ટકા કામ પડે છે. બાકીના બધાય 80 ટકા મળીને પણ ભાગ્યે જ આપણને 20 ટકા જેટલા ઉપયોગમાં આવતા હોય છે. એટલા માટે જે આપણી વધારે નજીક હોય અથવા તો આપણા જીવનમાં વધારે કામના હોય તેવા 20 ટકા લોકોને સાચવવા જરૂરી છે. તેમની સાથે સંબંધ જાળવી રાખવો જરૂરી છે. આવા 20 ટકા લોકોને જ આપનો 80 ટકા સમય આપવો જોઈએ. બાકીના 80 ટકા લોકોને માત્ર 20 ટકા સમય અને એટેન્શન આપીએ તો પણ ચાલી જાય તેમ છે કેમ કે તેમનું મહત્ત્વ માત્ર 20 ટકા જેટલું જ તો છે.

આ રીતે જીવનમાં જો ગણતરી સારી રીતે કરીને સમય, શક્તિ, સંસાધનો અને ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે તો કેટલા અસરકારક રહે? આપણે નાહકની જ આપણી 80 ટકા એનર્જી એવી જગ્યાએ વાપરી નાખતા હોઈએ છીએ જ્યાં 20 ટકા જેટલી પણ આવશ્યકતા ન હોય અને જ્યાં 80 ટકા ધ્યાન એવું જોઈએ ત્યાં આપણે માત્ર 20 ટકા જેટલો સમય કે ઉર્જા વાપરીએ છીએ. પરિણામે આપણને જ્યાં 80 ટકા પરિણામ મળવું જોઈએ ત્યાં 20 ટકા જ મળે છે. આખરે આવા મિસમેનેજમેન્ટને કારણે આપણે હતાશા તરફ ધકેલાઈએ છીએ. એવું ન થાય એટલા માટે જ પરેટો પ્રિન્સિપલનો અમલ કરીને સારી રીતે પોતાના કામોનું, પોતાના સમયનું અને પોતાની પાસે ઉપલબ્ધ સંસાધનોનું મેનેજમેન્ટ કરતા શીખવું આવશ્યક છે. જો કોઈને એવું લાગતું હોય કે હવે આ વળી નવું મેનેજમેન્ટ શીખવા ક્યાં મહેનત કરવી, તો તેના જવાબમાં એવું કહી શકાય કે એક વાર 80 ટકા મહેનત આ નવી તરકીબ શીખવામાં કરી લેશો તો જીવનમાં બાકીના કામ 20 ટકા મહેનતમાં જ થવા લાગશે અને પરિણામે 80 ટકા સમયનો ફાયદો થઇ જશે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus