નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, અમેરિકાએ ભારત પર 50 ટકા જેટલો અધધ ટેરિફ લાદ્યો છે ત્યારે તેની સાથે દ્વિપક્ષીય વેપાર કરાર કરવા માટે અમારી વાતચીત ચાલુ છે. ભારતીય ચીજવસ્તુઓ ઉપર ઊંચા ટ્રમ્પ ટેરિફથી દેશના અર્થતંત્ર પર ખાસ અસર નહીં થાય. જ્યારે કોઈ અમારી સાથે મુક્ત વેપાર કરાર કરવા ઈચ્છે છે તો અમારી તૈયારી રહે છે, પરંતુ જો કોઈ ભેદભાવ કરશે.. તો અમે ક્યારેય ઝૂકીશું નહીં તેમજ નબળા પડીશું નહીં, એકસાથે અમે આગળ વધવાનું ચાલુ રાખીશું તેમ એક કાર્યક્રમમાં ગોયલે જણાવ્યું હતું.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાની 25 ટકા ટેરિફ લાદતાં 27 ઓગસ્ટથી ભારતની ચીજવસ્તુઓ પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થયો છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરીને તેને યુદ્ધ માટે ફંડ પુરું પાડવાનો યુએસએ આક્ષેપ કરીને ભારત પર આકરો ટેરિફ લાગુ કર્યો હતો.
ભારત સાથે અગાઉ વેપાર કરાર અંગે ચર્ચા વિચારણા દરમિયાન અમેરિકાએ ભારતના કૃષિ તથા ડેરી સહિતના મહત્વના ક્ષેત્રોમાં પ્રવેશની મંજૂરી માંગી હતી પરંતુ ભારતે તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.