એઆઈના 100 પ્રભાવશાળી લોકોના ‘ટાઈમ’ લિસ્ટમાં અનિમા આનંદકુમાર

Saturday 12th September 2026 16:19 EDT
 
 

ન્યૂયોર્કઃ વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિન દુનિયામાં એઆઈના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતવંશી વૈજ્ઞાનિક પ્રોફેસર અનિમા આનંદકુમારનો સમાવેશ કર્યો છે. હવામાનની સચોટ આગાહી અને ન્યૂક્લિયર ફ્યુઝનથી લઈને દવાઓના વિકાસ અને ક્વોન્ટમ ટેક્નોલોજી સુધી એઆઈ અને વિજ્ઞાનના જોડાણ (એઆઈ ફોર સાયન્સ) પર તેમના ક્રાંતિકારી સંશોધન માટે અનિમા આનંદકુમારને આ સન્માન અપાયું છે.

પ્રોફેસર અનિમા આનંદકુમારે ટાઈમની યાદીમાં સમાવેશ અંગે કહ્યું કે, છેલ્લા એક દાયકાથી ભૌતિક દુનિયાના સિમ્યુલેશનને ઝડપી કરવા માટે એઆઈનો ઉપયોગ કરવો જ તેમના જીવનનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે.

મૈસુરના વતની, બહુમુખી પ્રતિભા

પ્રોફેસર અનિમા આનંદકુમાર મૈસૂરના રહેવાસી છે. તેમણે આઈઆઈટી મદ્રાસમાંથી બી.ટેક. અને અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેમણે એમઆઈટીમાં સંશોધન કર્યું હતું. તેમણે અમેઝોનમાં કામ કરતા સેગમેકર નામનું પ્રખ્યાત એઆઈ ટૂલ બનાવવામાં મદદ કરી હતી. 2017માં તેઓ કેલ્ટેકમાં પ્રોફેસર બન્યાં અને પછી એનવીડિયામાં એઆઈ સંશોધનના સિનિયર ડિરેક્ટરપદે પણ રહ્યાં હતા. અભ્યાસની સાથે અનિમા આનંદકુમાર ઉત્કૃષ્ટ ભરતનાટ્યમ ડાન્સર પણ છે.

અનેક મહત્ત્વપૂર્ણ શોધ

અનિમા આનંદકુમારની સૌથી મોટી સિદ્ધિ ન્યૂરેલ ઓપરેટર્સ નામની ટેક્નોલોજી બનાવવાની છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ટેક્નોલોજી એઆઈને વિજ્ઞાન અને ફિઝિક્સના નિયમ શિખવાડે છે. તેનાથી અનેક મુશ્કેલ વૈજ્ઞાનિક સમસ્યાઓનો ઉકેલ એઆઈ ક્ષણમાં જ લાવી દે છે, જેનો ઉકેલ લાવવામાં પહેલા મોટા-મોટા સુપર કમ્પ્યુટરોને પણ ખૂબ સમય લાગતો હતો.

તેમના રિસર્ચથી એવા મેડિકલ કેથેટર બનાવાયા છે, જેનાથી હોસ્પિટલોમાં થતા બેક્ટેરિયાના ઈન્ફેક્શનને 100 ગણા ઘટાડી શકાયા છે. એઆઈની મદદથી હવામાન અને તોફાનની આગાહી ખૂબ જ ઝડપી અને સચોટતાથી કરાઈ રહી છે. તેની સાથે કમ્પ્યુટર ચિપ્સને વધુ સારી બનાવવા અને ક્વોન્ટમ ટેક્નોલોજીને સુધારવામાં પણ તેમના રિસર્ચનો ઉપયોગ થઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter