ન્યૂ યોર્કઃ ભારતીય મૂળના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી અને જનરલ મોટર્સ માટે સર્વર અને રુટ વન કંપનીના સર્જક ડો. ટી.એન. સુબ્રમણ્યમનું 76 વર્ષની વયે મિશિગન ખાતે 26 માર્ચના રોજ નિધન થયું છે. સુબ્રમણ્યમ્ 1979માં યુએસ સ્થળાંતર કરી ગયા હતા તેમજ ભારત તથા અમેરિકાના વિદ્વાન વર્તુળમાં ઘણી નામના ધરાવતા હતા. તેઓ પોતાની પાછળ ગણિતવિશ્વ માટે સમૃદ્ધ વારસામાં મેથેમેટિકલ મોડેલ્સ અને થિઅરીઝ છોડતા ગયા છે.
ડો. ટી.એન. સુબ્રમણ્યમે થોડા વર્ષ ફિલાડેલ્ફીયા યુનિવર્સિટીમાં મેથ્સનું અધ્યાપન કર્યું હતું અને પછી ઓકલેન્ડ ગયા હતા જ્યાં તેમણે થોડા વર્ષ શિક્ષણ આપ્યું હતું. આ પછી તેમણે ઓટોમેટિવ ઉત્પાદક જાયન્ટ જનરલ મોટર્સ માટે રુટ વન કંપનીની સ્થાપના કરી હતી જે તમામ જીએમ કાર્સ અને જીપીએસ સિસ્ટમ્સ માટે ઓટો ફાઈનાન્સિંગ કામગીરી સંભાળે છે. તેઓ યુએસના ટ્રોય, મિશિગનમાં જનરલ મોટર્સની સાઈટ માટે સર્વરના સર્જક પણ હતા.
ડો. સુબ્રમણ્યમ્ તેમની પાછળ પત્ની, પુત્રી અને યુએસના મેરીલેન્ડ રાજ્યમાં બાઈડેન વહીવટી તંત્ર માટે કામ કરતા જમાઈને વિલાપ કરતા મૂકી ગયા છે. ઉલ્લેખનીય છે કે ડો. સુબ્રમણ્યમના નાના ભાઈ ટી.એન. અશોક પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇંડિયા (પીટીઆઇ)ના પૂર્વ એડિટર (ઈકોનોમિક્સ) અને આંતરરાષ્ટ્રીય બ્લોગર છે.