ન્યૂ યોર્કઃ અમેરિકાના મેનહટનમાં એક રહેણાંક ઈમારતમાં લિથિયમ આયન બેટરીને કારણે આગ ફાટી નીકળતાં તેમાં રહેતા અને પત્રકાર તરીકે કાર્ય કરતા 26 વર્ષના ભારતીય યુવકનું મોત થયું છે.
મેનહટનના હાર્લેમમાં ટુ-સેન્ટ નિકોલસ પ્લેસ સ્થિત છ માળની રેસિડેન્શિયલ ઈમારતમાં આગ લાગવાથી ફાઝિલ ખાનનું મોત થયું છે. ન્યૂ યોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટે પણ આગ લિથિયમ આયન બેટરીને કારણે લાગી હોવાના અહેવાલોને સમર્થન આપ્યું છે. આ ઘટનામાં 17 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ફાઝિલ ખાન ન્યૂ યોર્ક સ્થિત ધ હેચિંગર રિપોર્ટ નામની મીડિયા કંપનીમાં પત્રકાર તરીકે કાર્ય કરતો હતો. આ કંપની શિક્ષણમાં સંશોધન અને અસમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લિથિયમ આયન રિચાર્જેબલ બેટરીઓ ઇલેક્ટ્રિક બાઈક અને સ્કૂટર, કાર, લેપટોપ, ટેબલેટ, ફોન અને ઘરમાં સામાન્ય ઉપકરણોમાં ઉપયોગમાં લેવાય છે.