કોલકતાઃ હાલ ભારતમાં કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ભાગ્યે જ કોઇ એવું ઘર હશે જ્યા કેરીઓ નહીં ખવાઈ હોય. ભારતની કેરીઓ તો વિદેશોમાં પણ વખણાય છે અને પેટ ભરીને ખવાય છે. જોકે, મોટાભાગના લોકો કેરીઓ ખાધા બાદ તેની ગોટલીઓને કચરામાં ફેંકી દેતા હોય છે અથવા તો તેને સૂકવતા હોય છે, પરંતુ કોલકાતામાં રહેતા 51 વર્ષીય જસમીત સિંહ અરોડા આ ગોટલીથી દેશભરમાં મેંગો ફાર્મિંગ અભિયાન ચલાવી રહ્યા છે.
જસમીત સિંહ આ માટે જે તે ઘરોમાં, રેસ્ટોરાં કે જ્યૂસ સેન્ટરમાંથી ફેંકવામાં આવતી ગોટલીને એકત્ર કરે છે અને તે જ ગોટલીઓને સાફસૂફ કર્યા બાદ તેને સૂકવવા મૂકી દે છે.
ત્યારબાદ થોડા દિવસો બાદ આ ગોટલીઓને તેઓ અંકુરિત કરીને કેરીની સારી એવી જાતો જેમ કે, લંગડો, ગુલાબ, હિમસાગર જેવી સ્થાનિક જાતો સાથે ગ્રાફ્ટિંગ કરી દે છે. હવે જ્યારે આ ગોટલીઓ સારા એવા છોડમાં રૂપાંતરિત થાય છે ત્યારબાદ તેઓ આ કેરીના છોડને બંગાળના તે ખેડૂતોને એકદમ ફ્રીમાં આપે છે જેઓ અનાજના પાક પર નિર્ભર હોય છે. ગોટલીઓ ભેગી કરવાના આ કામમાં જસમીત સિંહની સાથે કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઇ છે. અત્યાર સુધીમાં તેમણે 7500થી પણ વધુ રોપાઓ ખેડૂતોને ફ્રીમાં આપેલ છે. જસમીત સિંહની આ ઝૂંબેશથી ખેડૂતો તો આંબા વાવીને સમૃદ્ધ બની જ રહ્યા છે, પરંતુ પર્યાવરણ પણ વધુ સમૃદ્ધ પણ બની રહ્યું છે.