મુંગેરઃ બિહારના ચંદનકુમાર શ્રવણકુમારની માફક જ માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રાએ નીકળ્યા છે. તેમની સાથે તેમની પત્ની રાનીદેવી અને 2 બાળકો પણ 105 કિલોમીટરની આ યાત્રામાં જોડાયા છે. સુલતાનગંજ ગંગાઘાટ પરથી જળ લઇને તેઓ સપરિવાર બાબા વૈદ્યનાથના દર્શન માટે નીકળ્યા છે. પતિ-પત્ની શ્રવણકુમારની જેમ ખભે કાવડ રાખીને માતા-પિતાને લઇને જળાભિષેક માટે નીકળી પડ્યા છે. ચંદનકુમાર જહાનાબાદના બીરપુરના રહેવાસી છે. તેમણે માતા-પિતાને કાવડમાં વૈદ્યનાથની યાત્રા કરાવવાની વાત કરી તો પત્ની રાનીદેવીએ પણ સાથે આવવાની ઇચ્છા વ્યક્ત કરી. છેવટે આખો પરિવાર યાત્રા કરવા નીકળી પડ્યો છે.