જયપુરઃ ખારા રણમાં મીઠી વીરડી જેવા સમાચાર આપણા કૃષિ વિજ્ઞાનીઓએ આપ્યા છે. રાજસ્થાનના થાર રણમાં હવે ઘઉંની ખેતી શક્ય બનશે. અજમેરની કેન્દ્રીય યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ‘ડેઝર્ટસોયલિફિકેશન’ તકનીક વિકસાવી છે, જેનાથી રેતીમાં પાક ઉગાડી શકાશે અને પાણીની જરૂરિયાત અડધી થશે.
કેન્દ્રીય યુનિવર્સિટીના આ પ્રોજેક્ટ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા ડો. અખિલના મતે જેસલમેર અને પુષ્કરમાં થયેલા પરીક્ષણોમાં બાજરી, ગવાર અને ચણાના ઉત્પાદનમાં 54 ટકા વધારો તથા ઘઉંમાં બમણું ઉત્પાદન મળ્યું છે.
રાજસ્થાન કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિ પ્રો. આનંદ ભાલેરાવ ઉત્સાહપૂર્વક કહે છે કે આ તકનીકથી રણપ્રદેશ વધતો અટકશે. રોજગારની તકો ઊભી થશે. અને ખેડૂતોની આવક પણ વધશે. રાજસ્થાનના અન્ય શુષ્ક ક્ષેત્રોમાં વાતાવરણ જોઇ-જાણીને બાજરી તથા મગ જેવો પાક ઉગાડવાની યોજના છે.
શું છે સોયલિફિકેશન તકનીક?
વૈજ્ઞાનિકોએ એક સ્વદેશી ‘બાયોફોર્મ્યુલેશન’ (પોલિમર આધારિત જૈવ-ઉત્પાદ) તૈયાર કર્યું છે. જ્યારે તેને રેતીમાં ભેળવવામાં આવે છે, ત્યારે તે રેતીના કણોને પરસ્પર જોડીને તેને માટી જેવું બંધારણ પૂરું પાડે છે.


