બસ્તરઃ છત્તીસગઢના બસ્તરમાં સફેદ મુસળી અને કાળા મરીના સૌથી મોટા ખેડૂત ડો. રાજારામ ત્રિપાઠી હવે ખેતરોની દેખરેખ માટે હેલિકોપ્ટરની ખરીદી કરવા જઈ રહ્યા છે. ડો. રાજારામ ચાર વખત સર્વશ્રેષ્ઠ ખેડૂતના એવોર્ડથી સન્માનિત પણ થઈ ચુક્યા છે. તેઓ બસ્તર કોંડાગામ અને જગદલપુરમાં સફેદ મુસળી, કાળા મરી અને સ્ટ્રોવિયાની ખેતી કરે છે. ત્રિપાઠીનો પૂરો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે.
આ ખેડૂત સાત કરોડ રૂપિયામાં હેલિકોપ્ટર ખરીદવા જઇ રહ્યા છે. તેમણે આ માટે રોબિંસન કંપની સાથે ડીલ પણ કરી લીધી છે. આર-44મોડલના ચાર સીટર હેલિકોપ્ટર ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. વિશેષ સંસાધનોવાળુ આ હેલિકોપ્ટર દોઢથી બે વર્ષમાં બસ્તર પહોંચી જશે, હાલ તેની ખરીદીનો ઓર્ડર અપાયો છે.
ડો. રાજારામ ત્રિપાઠી હાલમાં 25 કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. 400 આદિવાસી પરિવાર સાથે એક હજાર એકરમાં સામૂહિક ખેતી કરે છે. તેઓ યૂરોપીય અને અમેરિકી દેશોમાં કાળા મરીની નિકાસ કરે છે. કોંડાગામના રહેવાસી રાજારામ ત્રિપાઠી સફેદ મુસળી અને જૈવિક ખેતી માટે પણ જાણીતા છે. તેમણે ઓસ્ટ્રેલિયાના ટ્રિક સાથે કાળા મરીની ખેતી માટે પ્રાકૃતિક ગ્રીન હાઉસ ટેકનિક પણ વિક્સિત કરી છે. જેનાથી 40 વર્ષો સુધી પ્રતિ એકર કરોડો રૂપિયાની આવક રળી શકાય છે. કૃષિ મંત્રાલય અને ભારતીય કૃષિ તેમજ ખાદ્ય પરિષદ તરફથી ખેડૂત રાજારામ ત્રણ વખત દેશનો સર્વશ્રેષ્ઠ ખેડૂત અને રાષ્ટ્રીય બાગબાની બોર્ડ દ્વારા એક વખત સર્વશ્રેષ્ઠ એવોર્ડથી પણ સન્માનિત થઇ ચુક્યા છે. રાજારામ ત્રિપાઠી બસ્તરના પહેલા એવા ખેડૂત બનશે જેની પાસે ખુદનું હેલિકોપ્ટર હશે.