ગડાગ (કર્ણાટક): એક મુસ્લિમ વ્યક્તિ માટે કર્ણાટકના પ્રસિદ્વ મઠના મહંત બનવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. ૩૩ વર્ષના દીવાન શરીફ મુલ્લા ગડાગ સ્થિત મુરુગ રાજેન્દ્ર મઠના મહંત બન્યા છે. તેમને મઠના પીઠાધીશ્વર શ્રી મુરુગારાજેન્દ્ર કોરાનેશ્વર સ્વામીએ નિયુક્ત કર્યા છે. શરીફે કહ્યું હતું કે મને આમ કરવા માટે કોઇએ કહ્યું નથી. ઇશ્વરની પ્રેરણા અને માર્ગદર્શનથી આવું થયું.
શ્રી મુરુગારાજેન્દ્ર કોરાનેશ્વર સ્વામીએ કહ્યું કે તમે ક્યા ધર્મ, કઇ જ્ઞાતિના છો તે મહત્ત્વનું નથી. જો ઇશ્વરે તમને સદભાવના અને ત્યાગના માર્ગે મોકલ્યા છે તો મનુષ્યોએ બનાવેલા ધર્મ-જ્ઞાતિના બંધન બેઇમાન થઇ જાય છે. પછી તમે આ બધા છતાં ઇશ્વરે ચીંધેલા માર્ગ પર આગળ વધતા જાવ છો.
દીવાન શરીફ મુલ્લાએ તેમને મઠાધીશ બનાવવામાં આવ્યા તે અંગે કહ્યું હતું કે તેમને સન્માનથી નવાજાયા તે સાથે જ ‘ઇષ્ટ લિંગ’ અપાયું, જે તેમણે ધારણ કરી લીધું છે. તેમણે કહ્યું કે હું ધર્મના રસ્તે આગળ વધીશ. મને પ્રેમ અને ત્યાગનો સંદેશ અપાયો છે અને હું તેનો જ પ્રચાર-પ્રસાર કરવા માગું છેુ.