લ્યો, લોકોએ હવે કોરોના માતાનું મંદિર બનાવ્યું!

Wednesday 16th June 2021 03:53 EDT
 
 

પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના જૂહી શુક્લપુર ગામમાં લોકોએ કોરોના માતાનું મંદિર બનાવીને સવાર-સાંજ પૂજા શરૂ કરી દીધી હતી. સહુ કોઇ કોરોના મહામારીને ભૂલીને તેની ‘ભક્તિ’માં લીન થઇ ગયા હતા. કોરોના માતાનો ફોટો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જોકે આ તૂત તંત્રની નજરે ચઢ્યું અને બુલડોઝર ફરી વળ્યું.
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં આવેલાં જૂહી શુક્લપુર ગામમાં નાગેશ કુમાર શ્રીવાસ્તવ નામના એક શખસે કોરોના માતાનું મંદિર બનાવ્યું હતું. એક લીમડાના વૃક્ષની નીચે મંદિર બનાવવામાં આવ્યું હતું અને એમાં કોરોના માતાની તસવીર મૂકવામાં આવી હતી. એ તસવીરમાં લખાયું હતુંઃ વિશ્વનું એકમાત્ર કોરોના માતા મંદિર. દર્શન કરતાં પહેલાં માસ્ક પહેરો, હાથ ધુઓ અને દૂરથી જ દર્શન કરજો.
આ મંદિરનો ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. ગામના લોકોએ સવાર-સાંજ મંદિરની પૂજા શરૂ કરી હતી. આસપાસના લોકો પણ કોરોના માતાના દર્શન માટે ઉમટવા લાગ્યા હતા. કોરોના માતાની પૂજા કરવાથી કોરોના થશે નહીં એવી અંધશ્રદ્ધાના કારણે લોકોએ મંદિરમાં પ્રાર્થના શરૂ કરી હતી. વાત અહીં પૂરી નથી થતાં. કોરોના માતા પ્રત્યેની (અંધ)શ્રદ્ધાના પગલે લોકો વેક્સિનની પણ ઉપેક્ષા કરવા લાગ્યા હતા.
આ દરમિયાન કોરોના માતાનું મંદિર બન્યું હોવાની જાણકારી પ્રતાપગઢ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને તરત જ કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે ગામમાં આવીને મંદિર પર બુલડોઝર ફેરવી દીધું હતું અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવનારા નાગેશ કુમાર શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી.
મંદિર બનાવનારા નાગેશ કુમારના ભાઈ લોકેશ કુમાર શ્રીવાસ્તવે મંદિર તોડવાની બાબતને ગેરવાજબી ગણાવીને પોલીસ ઉપર દાદાગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયામાં કોરોના માતાનું આ મંદિર ભારે ચર્ચાનો વિષય બન્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter