કમ્પાલાઃ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોને લઇને પહેલી ફ્લાઇટ યુગાન્ડા પહોંચી હતી. ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ સંકળાયેલા ન હોય તેવા દેશોમાં દેશનિકાલ કરવાની ટ્રમ્પ સરકારની નીતિ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે.
યુગાન્ડાના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા લોકો અન્ય દેશોમાં મોકલી ન અપાય ત્યાં સુધી યુગાન્ડામાં જ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2025માં અમેરિકા અને યુગાન્ડા વચ્ચે આ અંગે કરાર કરાયો હતો.
કરાર અંતર્ગત 12 માઇગ્રન્ટને યુગાન્ડા મોકલી અપાયા છે. યુગાન્ડા લો સોસાયટીએ આ નીતિની આકરી ટીકા કરી છે. દેશનિકાલ કરાયેલા લોકોની ઓળખ અને નાગરિકતાની માહિતી જાહેર કરાઇ નથી.
અમેરિકા યુગાન્ડા ઉપરાંત એસ્વાતિની, ઘાના, રવાન્ડા અને સાઉથ સુદાનમાં પણ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરીને મોકલી રહ્યો છે. આ નાગરિકો ક્યુબા, જમૈકા, યમન, વિયેટનામ, લાઓસ અને મ્યાનમારના હોવાનું મનાય છે.

