નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશમાં માનવાધિકારોના શોષણ અને દુરુપયોગ સંબંધિત હિંસાનો શિકાર બનેલા લગભગ 2000 વિક્ટિમ્સને વળતર આપવાની જાહેરાત કરી છે. કેન્યામાં ન્યાયતંત્ર સિસ્ટમની બહાર રાષ્ટ્રીય વળતરની આ દુર્લભ પ્રક્રિયા છે. રાષ્ટ્રીય ભંડોળ સાથેના હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા ચકાસણી પછી આગામી સપ્તાહથી માનવાધિકારોના દુરુપયોગનો શિકાર બનેલાને વળતર આપવાનું શરૂ કરાશે. કુલ વળતરની રકમ 15 મિલિયન ડોલર રહેવાની ધારણા છે.
કેન્યામાં હિંસક વિરોધ સામાન્ય બની ગયો છે જેમાં, સેંકડો લોકોએ જાન ગુમાવ્યા છે, ઈજાગ્રસ્ત થયા છે અને ધંધાકીય નુકસાન સહન કરવું‘ પડ્યું છે. તાજેતરમાં જ અમેરિકી નાગરિકો માટે ઈબોલા ક્વોરેન્ટાઈન સેન્ટર ખોલવા સામેના વિરોધ પ્રદર્શનોમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને સંખ્યાબંધ ઈજાગ્રસ્ત થયા હતા. જૂન 2024 અને જૂન 2025માં વધારાયેલા ટેક્સીસ સામે સરકારવિરોધી દેખાવોમાં સંખ્યાબંધ લોકોના મોત નીપજ્યા હતા અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રેસિડેન્ટ રુટોએ જણાવ્યું હતું કે આ વળતર નુકસાનની સરકારની સ્વીકૃતિ છે, કોઈ દોષ-ગુનાની કબૂલાત નથી.


