નાઈરોબીઃ દુનિયાભરમાં કોવિડ – ૧૯ની સારવાર મેળવ્યા બાદ બચી ગયેલા લોકોની સંખ્યા વધી રહી છે તેમ ઘણાં કિસ્સાઓમાં કોવિડ – ૧૯ પછી ઘણાં કિસ્સામાં એવી સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવામળી છે કે દર્દીઓને તેમનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે. તેમની બચત વપરાઈ ગઈ હોવાથી જ્યારે તેમને ખૂબ ઉંચી રકમના મેડિકલ બીલો ભરવાના આવે છે ત્યારે તેમને ખૂબ તકલીફ પડે છે.
કેન્યાના ૪૪ વર્ષીય સિવિલ સર્વન્ટ ગોડફ્રે મૈથ્યા તેમાંના એક છે. કોવિડ -૧૯ના સંક્રમણ પછી તેમને હાર્ટની બીમારી થઈ છે. તેમના ઈન્સ્યુરન્સમાંથી તેમના મેડિકલ બીલની માત્ર ૨૫ ટકા રકમ જ ભરી શકાય તેમ છે. તેમને માત્ર જિંદગી બચાવવા જ નહીં પરંતુ, ગુજરાન ચલાવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. તેમના લોકલ ચર્ચે તેમને મદદ કરવા ફંડરેઈઝર દ્વારા તેમનું બાકીનું અંદાજે ૩.૯ મિલિયન કેન્યા શિલીંગ (૩૬,૦૦૦ યુએસ ડોલર) બીલ ચૂકવવાનો નિર્ણય લીધો.
ચર્ચના સભ્યોએ તો જરૂરી નાણાં એકઠા કરવા જમીનના ટાઈટલ ડીડ પણ કોલેટરલ તરીકે મૂક્યા.
કોરોનામાં મૈથ્યાનું ફેમિલી સેવિંગ વપરાઈ ગયું. તેઓ હોસ્પિટલનું બીલ ન ભરે તો તેમના મકાન અને જમીનની હરાજી થાય તેમ છે. સારવાર માટે મૈથ્યા નાઈરોબીના પરાંવિસ્તારની કેરન હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમાં સારવાર સારી મળે છે પરંતુ, અન્ય પ્રાઈવેટ હોસ્પિટલોની જેમ ત્યાંની મેડિકલ કેર દરેકને પોષાય તેવી નથી.