નૈરોબીઃ કેન્યાની રાજધાનીમાં પડેલા જબરદસ્ત વરસાદના કારણે 42ના મોત થયા હતા. રસ્તા પર વાહનો ફસાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને ફ્લાઈટો રદ કરવી પડી હતી. રાહત કાર્યો માટે સેનાને બોલાવવાની ફરજ પડી હતી.
કેન્યાના પોલીસ વડા જ્યોર્જ સેડાએ જણાવ્યું હતું કે ભારે વરસાદમાં કેટલાક લોકો તણાઈ ગયા હતા. કેટલાકના કરંટથી મોત થયા હતા. તેમણે ચેતવણી આપી હતી કે મૃત્યુઆંક હજી પણ વધી શકે છે, કારણ કે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે.
આ ઉપરાંત 100થી પણ વધુ વાહનોને પૂરના કારણે નુકસાન થયું હતું. જ્યારે કેટલાક વાહનો રસ્તા પર પલ્ટી ખાઈ ગયા હતા. કેન્યા એરવેઝે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે હવાઈ સેવા પર અસર પડી હતી. કેટલીક ફ્લાઈટને બીજા પોર્ટ સિટી મોમ્બાસા વાળવી પડી હતી. સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સેવાઓ પૂર્વવત કરવા માટે લશ્કરને બોલાવવું પડયું હતું.


