કેન્યામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાનઃ 500,000 વૃક્ષ રોપાશે

ભારતીય હાઈ કમિશન દ્વારા વૃક્ષારોપણ ઈનિશિયેટિવ

Wednesday 17th June 2026 06:48 EDT
 
 

નાઈરોબીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ ઈનિશિયેટિવ હેઠળ નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશને અમ્બોસેલીના ડ્રાયલેક એન્જેલેસા કન્ઝર્વન્સીના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસ 2026 સંદર્ભે વૃક્ષારોપણનું મહાઅભિયાન આદર્યું છે. આ કેમ્પેઈન હેઠળ કેન્યામાં અમ્બોસેલી ઈકોસિસ્ટમમાં આગામી પાંચ વર્ષમાં 500,000થી વધુ સ્વદેશી વૃક્ષો રોપવામાં આવશે.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં બોલતા કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકાએ ‘એક પેડ મા કે નામ’ ઈનિશિયેટિવનું મહત્ત્વ દર્શાવ્યું હતું. આ પહેલ હેઠળ વ્યક્તિને તેમની માતાના સન્માનમાં વૃક્ષ રોપવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઈનિશિયેટિવ 2032 સુધી દેશમાં 15 બિલિયન વૃક્ષ વાવવાના કેન્યા સરકારના લક્ષ્યને સુસંગત છે. આ અભિયાન હેઠળ ગ્રેટર અમ્બોસેલી ઈકોસિસ્ટમમાં આગામી પાંચ વર્ષમાં સ્વદેશી પ્રકારના પાંચ લાખથી વધુ વૃક્ષ રોપવામાં આવશે.

આ કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનર ડો. સ્વાઈકાની સાથે ભારતીય સંરક્ષણવાદીઓ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ દીલિપ અન્થિકાડ અને એન્જેલિસી કન્ઝર્વેન્સીના રેમ્યા વોરિયર, પ્રવાસી ભારતીય સન્માન વિજેતા ડો. પ્રકાશ હેડા, સ્થાનિક પર્યાવરણવાદીઓ, સ્થાનિક અધિકારીઓ અને માસાઈ કોમ્યુનિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter