હરારેઃ ઝિમ્બાબ્વેમાં નાગરિકત્વ વિનાના ૩૦૦,૦૦૦ લોકોની હાલત કરુણ છે. તેઓ યોગ્ય ડોક્યુમેન્ટ્સ વિના વોટ પણ આપી શકતા નથી અને જોબ પણ મેળવી શકતા નથી.
સસ્તી માઈગ્રન્ટ લેબર પૂરી પાડવા માટે ઝિમ્બાબ્વે આવેલા વિદેશી નાગરિકોના વંશજોની પરિસ્થિતિ 1984 સિટીઝનશિપ ઓફ ઝિમ્બાબ્વે એક્ટ જેવા ભેદભાવયુકત નિયમોને કારણે ખૂબ ખરાબ થઈ છે. તેઓ દાયકાઓથી નાગરિકત્વ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સિટીઝનશિપ એક્ટ વિદેશી મૂળના લોકોને નાગરિકત્વથી વંચિત રાખે છે.
આમ તો ઝિમ્બાબ્વેના બંધારણની કલમ ૪૩ મલાવી, મોઝામ્બિક, ઝામ્બિઆ અને સાઉથ આફ્રિકા સહિત સધર્ન આફ્રિકન ડેવલપમેન્ટ કોમ્યુનિટી (SADC)ના કોઈપણ નાગરિક હોય તેવા પેરેન્ટ્સને ત્યાં ઝિમ્બાબ્વેમાં જન્મેલા બાળકને નાગરિકત્વનો અધિકાર આપે છે.જોકે, આ કાયદાને નવા બંધારણ સાથે સાંકળવાનો હજુ બાકી છે.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે જણાવ્યું કે રાષ્ટ્રીયતા અને આઈડેન્ટીટી માણસનો અધિકાર છે અને જે લોકો ઝિમ્બાબ્વેમાં જન્મેલા હોય અને જેમના માટે પોતાનું વતન ગણાવવા અન્ય કોઈ સ્થળ ન હોય તેમને નાગરિકત્વ અપાવું જોઈએ.તેમને તેનાથી વંચિત રખાય તો તેઓ જીવનજરૂરી એવા શિક્ષણ, રોજગાર, હાઉસિંગ અને હેલ્થ સર્વિસ મેળવી શકે નહીં. સત્તાવાળાઓએ પગલાં લઈને નાગરિકત્વ વિનાના અને પોતાના જોખમે જીવતા લોકોને બર્થ સર્ટિફિકેટ અને આઈડી આપવા જ જોઈએ.