નાઈરોબીઃ કેન્યાના ભારતીય હાઈ કમિશન દ્વારા નાઈરોબીના ઓશવાલ સેન્ટર ગ્રાઉન્ડ્સ ખાતે 21 જૂન 2026ના રોજ 12મો ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા (IDY) ઉજવાયો હતો જેમાં 2500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટ કેન્યામાં સૌથી મોટી યોગ ઉજવણીઓમાં એક બની રહ્યો હતો. આ દિવસે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે.
યોગ દિવસની ઉજવણીમાં યુએનના અંડર સેક્રેટરી જનરલ અને નાઈરોબીસ્થિત યુએન ઓફિસના ડાયરેક્ટર જનરલ ઝૈનાબ હાવા બાંગુરા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ડિપ્લોમેટિક કોર્પ્સના સભ્યો, કેન્યા સરકારના અધિકારીઓ, બિઝનેસ કોમ્યુનિટીના અગ્રણીઓ, ભારતીય ડાયસ્પોરાના સભ્યો શાળાના બાળકો, યોગાભ્યાસુ શિક્ષકો અને ઉત્સાહીઓ પણ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા.
કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકાએ યોગને ભારત દ્વારા વિશ્વને અપાયેલી સૌથી મૂલ્યવાન ભેટ ગણાવી શારીરિક તંદુરસ્તી, માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક સોહાર્દને પ્રોત્સાહનની અપીલ સ્વરૂપે હાઈલાઈટ કર્યો હતો. તેમણે કેન્યામાં યોગની વધતી લોકપ્રિયતાને વધાવી ભારત અને કેન્યાની ભાગીદારીના પાયાનું નિર્માણ કરતા લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની ભૂમિકાનું મહત્ત્વ સમજાવ્યું હતું.
યુએનના અંડર સેક્રેટરી જનરલ ઝૈનાબ હાવા બાંગુરાએ આજના ઝડપી જીવનમાં સ્વાસ્થ્ય, માનસિક આરોગ્ય અને તંદુરસ્ત જીવનશૈલીઓના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને સમતુલા, ધીરજ અને સ્વાસ્થ્યને આગળ વધારવામાં યોગના યોગદાન વિશે જણાવ્યું હતું. વિવિધ નાગરિકતાઓ, સંસ્કૃતિઓ અને પેઢીના લોકોને એક સાથે લાવવામાં યોગની ભૂમિકાને તેમણે બિરદાવી હતી.
આ ઈવેન્ટમાં સ્થાનિક યોગાભ્યાસુઓ દ્વારા વિશિષ્ટ રિધમિક યોગ અને સ્ટિક યોગ પરફોર્મન્સીસ રજૂ કરવામાં આવ્યા હતા. હજારો ઉપસ્થિત લોકોએ તાલીમબદ્ધ યોગશિક્ષકોની રાહબરીમાં એકસાથે કોમન યોગ પ્રોટોકલમાં ભાગ લીધો હતો. સ્થળ પર આયુર્વેદના સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા, જ્યાં આરોગ્ય અને સ્વાસ્થ્ય પ્રત્યે આયુર્વેદના સમગ્રતયા અભિગમ વિશે માહિતી આપવામાં આવી હતી.


