ભરૂચ-ડર્બન: ભરૂચના આમોદ તાલુકાના આછોદના વતની અને દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં રોજગારી માટે ગયેલાં યુવાનની અશ્વેત લોકોએ લૂટના ઇરાદે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. બનાવની જાણ થતાં આછોદમાં શોક વ્યાપ્યો છે. મીડિયા અહેવાલમાં જણાવ્યા મુજબ આછોદ ગામમાં ઇસ્માઇલ ભુરીયા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના બે પુત્રો રોજગારી માટે દક્ષિણ આફ્રિકમાં સ્થાયી થયાં છે. એક પુત્ર લતીફ બે વર્ષથી ડર્બનમાં દુકાનમાં નોકરી કરતો હતો. મંગળવારે સ્થાનિક સમય પ્રમાણે ચાર કલાકે લતીફ પોતાના ઘરેથી દુકાને જવા માટે નીકળ્યો હતો તે વેળા માર્ગમાં અશ્વેત યુવાનોએ લૂટના ઇરાદે તેને અટકાવ્યો હતો અને છરીના ઘા મારીને તેને રહેંસી નાંખી ફરાર થઇ ગયાં હતાં.
બનાવની જાણ થતાં સ્થાનિક યુવાનો ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. ડર્બનમાં રહેતાં આછોડના યુવાનોએ આછોદના સરપંચ ઇદ્રીશ પટેલને ફોન પર ઘટનાની જાણ કરી હતી. પુત્રના મોત અંગેના સમાચાર મળતાં ભુરીયા પરિવાર ભાંગી પડયો હતો. ભરૂચ પંથકમાંથી અનેક યુવાનો રોજગારી માટે દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં સ્થાયી થયાં છે.