અબુજાઃ ભારતીય બેન્કો સાથે રૂ.14000કરોડ (1.36 બિલિયન પાઉન્ડ/ 1.7 બિલિયન ડોલર )ની છેતરપિંડી કરીને દેશમાંથી નાસી છૂટેલા ગુજરાતના સાંડેસરા બંધુ નીતિન અને ચેતન સાંડેસરાએ નાઈજિરિયામાં સૌથી મોટી સ્વતંત્ર ઓઈલ કંપની સાથે મોટું સામ્રાજ્ય સ્થાપ્યું છે. સાંડેસરા ગ્રૂપની સ્ટર્લિંગ ઓઈલ એક્સ્પ્લોરેશન અને સ્ટર્લિંગ ગ્લોબલ ઓઇલ રિસોર્સીસ કંપની દરરોજ 50000 બેરલ ઓઈલનું ઉત્પાદન કરે છે. તેમના નવા બીજા યુનિટ સાથે ઉત્પાદન 100,000 બેરલ સુધી પહોંચી જશે.
ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા નાણાકીય કૌભાંડ માટે દોષિત મનાયેલા સાંડેસરા બંધુઓ 2017માં દેશ છોડીને નાસી ગયા હતા અને તપાસ એજન્સીઓ આ પરિવારને સ્વદેશ પરત લાવવાનો પ્રયાસરત છે. જોકે, નાઈજિરિયાએ સાંડેસરા બંધુ પરના આરોપો રાજકીય રીતે પ્રેરિત હોવાની દલીલ કરી છે. CBIના જણાવ્યા અનુસાર, નાણાકીય ગોટાળા થકી કંપનીનું વિસ્તરણ કરાયું હતું. બેન્કો પાસેથી 1.7 બિલિયન ડોલર (રૂ. 14000 કરોડ)ની લોન લેવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો આપ્યા હતા તેમજ વિદેશમાં અન્ય વ્યવસાયોમાં નાણાં પણ રોક્યા છે. વડોદરાના સાંડેસરા બ્રધર્સે 1980ના દાયકામાં ચાના વ્યવસાયમાં પ્રવેશ કર્યા પછી મે ઓઈલ, હેલ્થ કેર, બાંધકામ અને એન્જિનિઅરીંગ ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું હતું. ગ્રૂપ 2007માં ફાર્માસ્યુટિકલ ગ્રેડ જિલેટીનનું સૌથી મોટું ઉત્પાદક બન્યું હતું.
નાઈજિરિયામાં એક બિલિયન બેરલ તેલ શોધાયા પછી સાંડેસરા બ્રધર્સ કંપનીને તેલકૂવાઓ ડ્રિલ કરવા માટે પસંદ કરાઈ હતી. નીતિન સાંડેસરાએ 2019માં જણાવ્યું હતું કે તેમની કંપનીઓ ટેક્સ ચૂકવી નાઇજિરિયન સરકારની આવકમાં 2 ટકાનો ફાળો આપે છે.