માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

Tuesday 24th June 2025 05:46 EDT
 
 

 નવી દિલ્હી, મુંબઈઃ ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં હિન્દુસ્તાન ગ્લાસ કંપની હસ્તગત કરવાને માર્ગ મોકળો કર્યો છે. ગ્રૂપના પ્રમોટર શ્રેય માધવાણી, તેમની પત્ની અપર્ણા માધવાણી અને ગ્રૂપ ડાયરેક્ટર નીતિન ગઢીઆએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ લીધી હતી. ગુજરાતમાં મજબૂત મૂળિયાં ધરાવતા માધવાણી ગ્રૂપે અમદાવાદ વિમાન કરૂણાતિકા સંદર્ભે મોદી સમક્ષ દિલસોજી પણ વ્યક્ત કરી હતી.

શનિવાર 14 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત દરમિયાન શ્રેય માધવાણી, અપર્ણા માધવાણી અને નીતિન ગઢીઆએ ભારતમાં માધવાણી ગ્રૂપના પ્લાન્સ અને રોકાણો વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ગ્રૂપ આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવાના માર્ગ શોધી રહ્યું છે, જેનાથી રોજગારવૃદ્ધિ સાથે ઔદ્યોગિક વિકાસની તક પણ વધશે. વડા પ્રધાન મોદીએ માધવાણી ગ્રૂપની રોકાણોની યોજના આવકારવા સાથે ભારતમાં તેમના સાહસોને સંપૂર્ણ ટેકાની ખાતરી ઉચ્ચારી હતી. તેમણે પોતાના મૂળિયા તરફ પાછાં ફરવા અને ભારતની પ્રવર્તમાન વિકાસયાત્રામાં સાથ આપવાના ગ્રૂપના નિર્ણય વિશે આનંદ વ્યક્ત કર્યો હતો.

માધવાણી ગ્રૂપ ઓક્ટોબર 2021થી દેવાળાંની પ્રક્રિયા હેઠળ રહેલી ભારતની સૌથી મોટી કન્ટેઈનર ગ્લાસ ઉત્પાદક હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ખરીદી સાથે ભારતમાં વ્યૂહાત્મક પ્રવેશ કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં મંજૂરી આપ્યા પછી કાનૂની અવરોધ દૂર થતાં માધવાણી ગ્રૂપની કંપની INSCO મારફત HNGILની ખરીદ કરાશે. મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર, એનર્જી અને હોસ્પિટાલિટી સહિતના ક્ષેત્રોમાં આફ્રિકા અને વિવિધ દેશોમાં કાર્યરત માધવાણી ગ્રૂપ દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ ભારત અને આફ્રિકા વચ્ચે બિઝનેસ સંપર્કોમાં મહત્ત્વપૂર્ણ ઘટના છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter