મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરી વિરોધી અભિયાન હેઠળ મોટી સફળતા મેળવી છે. સચોટ બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં અધિકારીઓએ આશરે રૂપિયા 37.7 કરોડની કિંમતનું સોનું જપ્ત કર્યું છે.
આ મામલે કેન્યાના 25 નાગરિકોની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરાઈ છે. તેઓ સોનાને વિવિધ સ્વરૂપે એટલે કે ગોલ્ડ ડસ્ટ અથવા કેપ્સ્યુલને શરીર અથવા સામાનામાં છૂપાવીને દાણચોરી કરતા હતા. ડીઆરઆઇને શંકા છે કે તેઓ ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ સિન્ડિકેટના સભ્યો હોઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર તૈનાત ડીઆરઆઇની ટીમે શંકાસ્પદ મુસાફરોની ગતિવિધિઓ પર નજર રાખીને આ કાર્યવાહી કરી હતી. હાલમાં તમામ જપ્ત કરાયેલ સોનાને કસ્ટમ્સ એક્ટ હેઠળ કબજે લેવામાં આવ્યું છે અને આ નેટવર્કના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

