કમ્પાલાઃ પૂર્વ આફ્રિકાના દેશ યુગાન્ડામાં પત્રકારોને ગત ૨૦૨૧ની ચૂંટણીઓ દરમિયાન સલામતી દળોના હાથે દુર્વ્યવહારના ભોગ બનવું પડ્યું હતું. પ્રમુખ યોવેરી મુસેવેનીના શાસનની વિરુદ્ધ બોલનારા અનેક પત્રકારો પર હુમલા કરાયા, વકીલોને જેલમાં ધકેલાયા, મતદારોને કેળવનારા લોકો સામે કાર્યવાહી કરાઈ અને વિપક્ષના નેતાઓને હિંસાગ્રસ્ત કરી દેવાયા હતા.
યુગાન્ડામાં એવોર્ડ-વિજેતા લેખક અને સરકારના ટીકાકાર કાક્વેન્ઝા રુકિરાબશૈજા ઉપર પ્રમુખ મુસેવેનીનું અપમાન કરવાનો આરોપ લગાવાયો હતો. જીવનું જોખમ અને સતત ટોર્ચર કરાવાથી તેઓ ગત ફેબ્રુઆરીમાં જ મેડિકલ સારવાર માટે જર્મની ભાગી ગયા છે. કાક્વેન્ઝા રુકિરાબશૈજાને આંતરરાષ્ટ્રીય ચિંતા જગવનારો કેસ ગણીનેગત નાતાલ પછી તરત જ ધરપકડ કરી લેવાયા હતા. તેમની એક નવલકથા 'ધી ગ્રીડી બાર્બેરિયન'માં ઉચ્ચ કક્ષાના ભ્રષ્ટાચારની કથા આલેખવામાં આવી છે, જેના પ્રકાશન બાદથી જ તેમની સતામણી શરૂ કરાઈ હતી. 2021 પેન પિન્ટર પ્રાઇઝ નામનો ઇન્ટરનેશનલ રાઇટર ઓફ કરેજનો એવોર્ડ તેમને મળેલો છે.
યુગાન્ડાના કર્મશીલ નોર્મન તુનુહિમ્બીસને પ્રમુખનો સાઇબર માર્ગે પીછો કરવાના આરોપસર 10મી માર્ચે ફરીદા બીકોબેર ખાતેથી ઝડપી લેવાયા હતા. ઓનલાઇન મીડિયા પ્લેટફોર્મ ડિજિટોક ટીવીમાં તેઓ લેખક સાથે કામ કરતા હતા. બંનેને 21મી માર્ચે જામીન પર મુક્ત કરાયા હતા. કુલ નવ પત્રકારો પૈકીના આ બે પણ હતા, જેમને કમ્પ્યૂટર મિસયુઝ એક્ટ હેઠળ એક વર્ષની કેદ અને દંડની સજા મળી હતી. જ્યારે, અન્ય સાતને મુક્ત કરાયા હતા.