બુર્કિના ફાસોની મિલિટરી સરકારે દેશના તમામ 100 રાજકીય પક્ષોનું વિસર્જન કરી નાખ્યું છે. કેપ્ટન ઈબ્રાહીમ ટ્રારોરની આગેવાની હેઠળ લશ્કરે સપ્ટેમ્બર 2022માં સત્તા હાંસલ કર્યા પછી આ પક્ષોની પ્રવૃત્તિઓ સસ્પેન્ડ કરી નાખી હતી. રાજકીય પક્ષોને અગાઉ જાહેર સભાઓ યોજવા્ પર પ્રતિબંધ હતો પરંતુ, આંતરિક સંચાલન ચાલુ રખાયું હતું. રાજકીય પક્ષોને વિસર્જિત કરતો મુસદ્દા કાયદો હવે ટ્રાન્ઝિશનલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં મોકલી અપાશે. વિસર્જિત પક્ષોની સંપત્તિ દેશ હસ્તક લઈ લેવાશે. વિસર્જિત100 રાજકીય પક્ષોમાંથી 15 પક્ષોના પ્રતિનિધિઓ પાર્લામેન્ટમાં છે.
• નાઈજિરિયામાં હિંસા, 170ના મોતઃ
નાઈજિરિયાના ક્વારા સ્ટેટના વોરો ગામમાં મંગળવાર 3 ફેબ્રુઆરીએ ત્રાટકેલા બંદૂકધારી લૂંટારુઓએ હિંસા આચરી 170 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નાઈજિરિયામાં સશસ્ત્ર લૂંટારુઓનો આતંક છવાયો છે જેઓ ગામોમાં લૂંટફાટ આદરે છે અને લોકોને નાણા માટે બંધક બનાવી અપહરણો કરી જાય છે. પોલીસે હુમલો થયાનું સ્વીકાર્યું છે જ્યારે સરકારે ગ્રૂપ ફોર સપોર્ટ ઓફ ઈસ્લામ એન્ડ મુસ્લિમ્સ (JNIM) સહિત ત્રાસવાદી જૂથોને દોષિત ગણાવ્યા હતા. નાઈજિરિયાના લશ્કરે જિહાદીઓ અને સશસ્ત્ર લૂંટારુઓ વિરુદ્ધ કામગીરીને તીવ્ર બનાવી છે અને સ્થાનિક અહેવાલો મુજબ 150 ત્રાસવાદીનો ખાતમો બોલાવી દેવાયો છે.

