11 વિદેશી મૂળના નાગરિકોના પરિવારનો સરકારે એમ્બેસી મારફતે સંપર્ક કર્યો

Friday 20th June 2025 08:16 EDT
 

અમદાવાદઃ વિમાન દુર્ઘટના બાદ ભારતીય પ્રવાસીઓ ઉપરાંત 11 વિદેશી મૂળના નાગરિકોના પરિવારનો પણ રાજ્ય સરકાર દ્વારા સંપર્ક કરાયો છે. તેમજ બ્રિટિશ સરકાર સાથે પણ સંકલનની કામગીરી ચાલી રહી છે. દુર્ઘટનામાં બચી ગયેલા દીવના વિશ્વાસ રમેશકુમાર ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.
વિમાન દુર્ઘટના બાદ થયેલી રાહત અને ઓળખની કામગીરીની વિગતો આપતા રાહત કમિશનર આલોક પાંડે અને એડિશનલ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલે જણાવ્યું હતું દરેક મૃતકના પરિવાર માટે અધિકારી, પોલીસ અને કાઉન્સેલરની ખાસ ટીમ ફાળવાઈ છે. આ ટીમ પાર્થિવ દેહને મૃતકના ઘર સુધી પહોંચાડવા માટે પરિવારની સાથે જશે અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે. જરૂરિયાત મુજબ પરિવારોને માનસિક સધિયારો આપવા કાઉન્સેલિંગની વ્યવસ્થા કરાઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના 18 જિલ્લાના તમામ મૃતકોના પરિવારજનોનો સરકાર દ્વારા સંપર્ક કરી લેવાયો છે. મૃત્યુ પામેલા 11 વિદેશી નાગરિકોના પરિવારજનોનો તેમના દેશની એમ્બેસી મારફતે સંપર્ક કરી DNA સેમ્પલ મેચિંગ માટેની કામગીરી કરાઇ રહી છે. ખાસ કરીને બ્રિટિશ નાગરિકોના પાર્થિવ દેહ તેમના પરિવારોને સરળતાથી સોંપી શકાય તે માટે બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ સાથે સંકલન કરાઇ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter