ગાંધીનગરઃ વિદેશવાસી ગુજરાતીઓને આવકારવા માટે હંમેશા તત્પર રહેતી ગુજરાત સરકારે તેમના ફાળવેલા કરોડો રૂપિયાનો ઉપયોગ નહીં કર્યો હોવાનું બહાર આવ્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ રાજયમાં ઉદ્યોગો સ્થાપે અને દેશહિત માટે કંઇક કાર્ય કરે તેવા સરકારના પ્રયાસો હોય છે ત્યારે રૂ. ૫.૬૨ કરોડ ઉપયોગ પડી રહ્યા છે. બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા એનઆરજી માટે ગુજરાત કાર્ડ, સેમિનાર, યોજનાઓ તથા કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારે આટલા રૂપિયા ન વપરાતા કેટલું કામ થયું હશે તે પ્રશ્ન પણ વિધાનસભામાં અપાયેલી માહિતી પરથી ઊભો થયો છે.
વિધાનસભા ગૃહમાં ગત સપ્તાહે કોંગ્રેસના શૈલેષ પરમાર દ્વારા બિનનિવાસી ગુજરાતી પ્રભાગને છેલ્લા બે વર્ષમાં કેટલી રકમ ફાળવવામાં આવી, તેમાંથી કેટલી વણવપરાયેલી રહી તથા તેની પાછળના કારણો શું હતા તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રભાગના પ્રધાન દ્વારા આ અંગે અપાયેલા લેખિત જવાબમાં જણાવાયું હતું કે, વર્ષ ૨૦૧૩માં રૂ. ૭.૯૨ કરોડ અને ૨૦૧૪માં રૂ. ૮.૨૬ કરોડની રકમ ફાળવવામાં આવી હતી. તે પૈકી રૂ. ૧૨.૯૩ કરોડ ગુજરાત રાજય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનને સહાયક અનુદાન પેટે ફાળવાયા હતા. આ ફાળવેલી રકમ પૈકી રૂ. ૫.૬૨ કરોડની રકમ વપરાયા વિના રહી હતી. રકમ ન વપરાયા પાછળ એવું કારણ પ્રભાગ દ્વારા આપવામાં આવ્યું હતું કે, બજેટમાં જોગવાઇ, ગ્રાન્ટની ફાળવણી અને ખર્ચ નાણાકીય વર્ષ પ્રમાણે થતું હોઇ નાણાકીય વર્ષ દરમિયાન રકમ વાપરી શકાતી હોય છે તેથી ડિસેમ્બર સુધી જમા થયેલી રકમ વણવપરાયેલી ગણવાની રહે નહીં. તે સાથે પરપ્રાંતના ગુજરાતી સમાજો તરફથી સમાજ ભવનના નિર્માણ માટે સહાયની અરજીઓ ઓછી આવતા, એપ્રિલમાં લોકસભાની ચૂંટણી હોવાથી આચારસંહિતાના કારણે પણ પૂરતી રકમ વપરાઇ ન હતી. તે સાથે જાન્યુઆરી ૨૦૧૫માં પ્રવાસી ભારતીય દિવસ હોવાથી માર્ચ મહિના સુધી તેનો ઉપયોગ થઇ શકતો હોવાથી પણ પૂરી રકમ વપરાઇ ન હતી.