નવી દિલ્હીઃ ૨૦૦૯માં ઓએનજીસી અને કેન્દ્ર સરકારે રચેલી કંપનીને કુલ રૂ. ૬૭૭૪૪ કરોડના કોન્ટ્રક્ટ અપાવવા માટે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ (એસઇસીએલ) પાસેથી ૪૯.૯ લાખ ડોલરની લાંચ લેવા બદલ સીબીઆઈએ આર્મ્સ ડિલર અને રોબર્ટ વાડ્રાના ખૂબ જ નજીક ગણાતા સંજય ભંડારી સામે કેસ દાખલ કર્યો છે. ઓએનજીસી પેટ્રો એડિશન્નસ લિમિટેડ (ઓપીએલ)માં ઇથેલોન અને પ્રોપીલિનનું ઉત્પાદન કરવા માટે ડ્યુઅલ ફીડ કેકર યુનિટ (ડીએફસીયુ)ની રચના માટેનો કોન્ટ્રાક્ટ અપાવવા માટે ભંડારી પર લાંચનો આરોપ છે. ઓનએનજીસી, ગેઈલ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડની રચના કરાઈ હતી.
સીબીઆઈએ આરોપ મૂક્યો છે કે ગુજરાતના દહેજમાં આવેલા પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્સમાં ડીએફસીયુની રચના થવાની હતી. આ એકમની રચના માટેનો કોન્ટ્રાક્ટ ૨૦૦૯માં એસઇસીએલને મળ્યો હતો. ઓએનજીસીએ આ માટે એસઇસીએલને એડવાન્સ પેમેન્ટ પણ ચૂકવી દીધું હતું. આ આરોપને ધ્યાનમાં રાખી સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે. જેમા એસઇસીએલના સિનિયર મેનેજર, બ્રિટન સ્થિત ફોસ્ટર વ્હીલર એનર્જી લિમિટેડ અને ભંડારીની યુએઇ સ્થિત કંપની સાન્ટેક ઇન્ટરનેશનલ એફજેસી તથા ઓએનસીજી અને ઓપીએલીના અજ્ઞાત સરકારી અધિકારીઓના નામનો ઉલ્લેખ છે. ઉલ્લેખનીય છે કે ભંડારી વિરુદ્ધ શસ્ત્રોની અનેક સમજૂતીમાં તપાસ ચાલી રહી છે. ભંડારી હાલમાં લંડનમાં હોવાનું મનાય છે. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે વર્ટેક્સ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડમાં ૧૦૦ ટકા હિસ્સો ખરીદીને એક પ્રોપર્ટી ખરીદી હતી. આ સમજૂતી એસઇસીએલ દ્વારા ભંડારીના ખાતામાં ૪૯.૯ લાખ ડોલર (૨૨ કરોડ રૂપિયા) જમા કરાવવામાં આવ્યા પછી થઈ હતી. સીબીઆઈના જણાવ્યા મુજબ ભંડારીએ આ પ્રોપર્ટી સ્કાયલાઇટ ઇન્વેસ્ટમેન્ટ એફઝેડઇને વેચી હતી. ઇડીના દાવા મુજબ આ કંપની કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા સાથે સંકળાયેલી છે.