અમદાવાદ: કોરોના મહામારીને પગલે સંયુક્ત અરબ અમિરાત (યુએઈ)માં અનેક કંપનીઓના પ્રોજેક્ટ હાલ બંધ થઈ ગયા છે. જેના કારણે આ કંપનીઓમાં કામ કરતા મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા છે. તેમાં એક હજારથી વધુ ગુજરાતી યુવાનો હોવાના અહેવાલ છે. હાલમાં કોરોનાને પગલે ફ્લાઈટ બંધ છે. આ તમામ યુવાનોને નોકરીમાંથી હાંકી કઢાતા તેઓ ગુજરાત પરત ફરવા માગે છે. અબુધાબી તેમજ દુબઈથી વિશેષ ફ્લાઈટની વ્યવસ્થા કરવાની પણ આ લોકોએ માગ કરી છે. દુબઈની કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા અને હાલમાં ત્યાં અટવાયેલા ધવલ ધોરાજિયાએ જણાવ્યું કે, બેરોજગારીની હાલતમાં પરિવાર સાથે અનેક લોકો અટવાયા છે. ‘વંદેભારત મિશન’ હેઠળ કેન્દ્ર સરકાર વિશ્વભરમાંથી ગુજરાતીઓ સહિત બિનનિવાસી ભારતીયોને સ્વદેશ લવાઈ રહ્યાં છે તો અહીં અટવાયેલા લોકો માટે પણ સરકારે ધ્યાન આપવું જોઈએ.