અંધજનોને ચાલવામાં મદદરૂપ ખાસ બૂટનું સંશોધન

વિરેન વ્યાસ Monday 01st June 2015 11:03 EDT
 
 

અમદાવાદઃ અંધજનોને ડગલેને પગલે વિશેષ કાળજી રાખવી પડે છે. ખાસ કરીને જ્યારે તેમના હાથમાં સ્ટિક ન હોય તો તેમને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. અંધજનોની આ તકલીફને ધ્યાનમાં રાખીને વિશાખાપટ્ટનમના ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીએ અનોખા બૂટનું સંશોધન કર્યું છે. આ બૂટ પહેરવાથી અંધજનોને તેમના સામે આવનાર દિવાલ, પથ્થર કે અન્ય કોઇ અડચણની આગોતરી જાણ થઇ જાય છે. જેથી તેઓ પોતાના માર્ગને બદલી શકે છે અને સલામત રીતે આગળ જઇ શકે છે. અને વધુમાં તેમને હાથમાં સ્ટિક રાખવાની પણ વધુ જરૂર નહીં પડે.

વિશાખાપટ્ટનમમાં ક્રિષ્ના સાઇ ઇન્કૂલુ નામના વિદ્યાર્થીએ આ વિશેષ પ્રકારના બૂટ વિકસાવ્યા છે, જે ત્રણથી ચાર મીટર સુધીના વિસ્તારને આવરી લે છે એટલે કે આટલી દૂરથી બૂટ સંકેત આપવાનું શરૂ કરે છે. દા.ત. કોઇ દિવાલની સામે જઇએ તો જેમ જેમ દિવાલ નજીક આવે તેમ તેમાં રહેલા વાઇબ્રેટરની ઝડપ પણ વધી જાય છે અને આગળ ન જવાની ચેતવણી આપે છે. આ બૂટમાં બે સેન્સર છે અને સેલ્ફ ચાર્જિંગ બેટરી પણ છે. આ બંને બૂટની પડતર કિંમત અંદાજે રૂ. ૧૮૦૦ છે, જેને નહીં નફો-નહીં નુકસાનના ધોરણે માત્ર સામાજિક સેવાર્થે અંદાજે રૂ. ૨,૦૦૦માં વેચવાનું આયોજન છે. અમદાવાદસ્થિત યુવાન વકીલ અને આવા નવા સંશોધનને પ્રોત્સાહન આપનાર મનસ્વી થાપર કહે છે કે, ‘અમે આ બૂટને ટેપઆર્ચ નામ આપ્યું છે, આ બૂટનું શહેરના અંધજન મંડળ ખાતે પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ બૂટની પેટન્ટ લેવા માટે સિલિકોન વેલી-અમેરિકાથી પણ બહુ મોટો નાણાકીય પ્રસ્તાવ આવ્યો હતો પરંતુ તેનો ધંધાકીય હેતુ નહીં હોવાથી પ્રસ્તાવને સ્વીકારમાં આવ્યો નથી.’ આ બૂટના સંશોધનને ‘ફિક્કી’નો મોસ્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ ઓફ ૨૦૧૪ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૨.૬૦ કરોડ અંધજનો ભારતમાં છે, જો બૂટનું આયોજનબદ્ધ રીતે ઉત્પાદન પાર પડશે તો તેનો લાભ તેમના સુધી પહોંચશે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter