રાજકોટ: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રારંભે દેશના જાણીતા ઉદ્યોગપતિઓએ ગુજરાતના વિકાસ માટે મહત્વની વિગતો જાહેર કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં રૂા. સાત લાખ કરોડનું રોકાણ કરશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત એ રિલાયન્સનું હૃદય છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ અહીં રૂા. 3.5 લાખ કરોડનું રોકાણ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં વધુ રૂા. સાડા ત્રણ લાખ કરોડનું રોકાણ કરશે.
આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવાની વિગતોના સંદર્ભમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે એક તો, જામનગરમાં વિશ્વનું સૌથી મોટુ સંકલિત ગ્રીન એનર્જી ઇકો સિસ્ટમ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં સોલર, ગ્રીન હાઇડ્રોજન અને સ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ જેવા ઉદ્યોગોનો સમાવેશ થશે. જામનગર હવે હાઇડ્રો કાર્બનને બદલે ગ્રીન એનર્જીનું સૌથી મોટુ નિકાસકાર બનશે. બીજું, કચ્છમાં મલ્ટી ગીગાવોટ ક્ષમતા ધરાવતો સોલાર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. ત્રીજું, જામનગરમાં ભારતનું સૌથી મોટુ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ માટે રેડી ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે. ચોથું, અમદાવાદમાં વર્ષ 2036માં આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાત સરકાર સાથે જોડાશે. અને પાંચમુ, જામનગરમાં વિશ્વસ્તરિય હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે અને શિક્ષણ ક્ષેત્રની સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવશે.
આ પ્રસંગે અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મેનેજિંગ ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ માટે મુંદ્રા એ કર્મભૂમિ છે. વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક અદાણી ગ્રૂપ અહીં તૈયાર કરી રહ્યું છે. આગામી પાંચ વર્ષ દરમિયાન મુદ્રા ખાતે અદાણી ગ્રૂપ રૂ. 1.50 લાખ કરોડનું મૂડી રોકાણ કરશે.
વેલસ્પન કંપનીના ચેરમેન બી.કે. ગોએન્કાએ જણાવ્યું હતું કે કચ્છ અમારી જન્મભૂમિ છે. છેલ્લા બે દાયકામાં કચ્છની કાયાપલટ થઇ છે. આજે વેલસ્પન કું. એક લાખ લોકોને રોજગારી આપે છે. વિશ્વની સૌથી મોટી પાઇપલાઇન પ્લાન્ટનું ઉત્પાદન કરવા માટે વેલસ્પન કું. ગુજરાતમાં 5 હજાર કરોડનું રોકાણ કરશે.
રાજકોટ સ્થિત જ્યોતિ સીએનસીનાં ચેરમેન પરાક્રમસિંહ જાડેજાએ આ વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે એરો સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને મશીનરી પુરી પાડવા જ્યોતિ સીએનસી તત્પર છે. આત્મ નિર્ભર ભારત માટે આપણે સૌએ સહિયારો પુરુષાર્થ કરવો પડશે તેમ જણાવી તેઓએ આગામી પાંચ વર્ષમાં રૂા. 10 હજાર કરોડનું રોકાણ કંપની દ્વારા કરવામાં આવનાર હોવાનું જાહેર કર્યું હતું.
રિજનલ વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર કન્ટ્રી રવાન્ડાના હાઇકમિશનર જેકલીન મુકાનગીરાએ અને યુક્રેનના એમ્બેસેડર એલેક્ઝાન્ડર પોલીસયુકેએ ભારતીય ઉદ્યોગકારોને વ્યાપારિક સંબંધો વિકસાવવાનું આહવાન કરી પરસ્પરના સંબંધો વધુ મજબૂત બનાવવાની લાગણી વ્યક્ત કરી હતી.


