અમદાવાદઃ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામીના અક્ષરનિવાસ બાદ બીએપીએસના છઠ્ઠા વડા તરીકે મહંતસ્વામીજીની વરણી કરવામાં આવી છે. મહંતસ્વામીનો જન્મ ૧૩મી સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ જબલપુર, મધ્યપ્રદેશમાં થયો હતો. મહંતસ્વામીજીનો જન્મદિવસ વિશ્વભરમાં ભજન કીર્તન અને સંતવાણીથી ઉજવવામાં આવ્યો હતો. સ્વામીજીએ ૧૯૫૭માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી. તેમના પિતાનું નામ મણિભાઈ નારાયણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન હતું. મણિભાઈ આણંદથી વ્યવસાય અર્થે જબલપુર ગયા હતા. મહંત સ્વામીએ જબલપુરમાં પ્રાયમરી અને સેકન્ડરી એજ્યુકેશન મેળવ્યું હતું. બાદમાં તેઓ આણંદ આવ્યા અને ત્યાં તેમણે કૃષિક્ષેત્રમાં આગળનો અભ્યાસ કર્યો. ૧૯૫૧-૫૨માં તેઓ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. ૧૯૬૧માં ગોંડલ ખાતે તેમને ભાગવતી દીક્ષા આપી સ્વામી કેશવજીવનદાસ નામ પાડ્યું હતું. મહંતસ્વામીનું મૂળ નામ વિનુભાઈ પટેલ હતું. દીક્ષા પછી તેમને મુંબઇમાં દાદર મંદિરના મહંત બનાવવામાં આવ્યા અને ત્યારથી તેઓ મહંત સ્વામીના નામથી જાણીતા બન્યા હતા.


