અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરાંત લખનઉ અને મેંગલોર એરપોર્ટ પર અદાણી એરપોર્ટ્સ દ્વારા પ્રવાસીઓનાં આરોગ્યની સુવિધા માટે લેવાયેલાં પગલાંની એરપોર્ટ કાઉન્સિલ (ઇન્ટરનેશન) દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. પ્રવાસીઓની સલામતી માટે એરપોર્ટ પર લેવાયેલાં અસામાન્ય પ્રતિબંધક પગલાં બદલ હેલ્થ એક્રેડિટેશન પણ આપવામાં આવ્યું છે. ૧૧૮ ચેકપોઈન્ટ્સને આધારે આરોગ્ય સલામતી માટેની વ્યવસ્થાની ચકાસણી કરીને પછી તેની વ્યવસ્થા ઉત્તમ હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે.
અદાણી એરપોર્ટ્સના સીઈઓ બેહનાદ ઝેન્ડીએ કહ્યું હતું કે, એક્રિડિટેશન કોવિડ-૧૯ તથા રસીકરણની ઝુંબેશને પગલે એરટ્રાફિકનો પુનઃ પ્રારંભ કરવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલે જણાવ્યું છે કે, પ્રવાસીઓને તેમનું આરોગ્ય સલામત હોવાની ખાતરી મળી રહે તે રીતે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. એસીઆઈ એરપોર્ટ હેલ્થ એક્રિડિટેશન પ્રોગ્રામ દર્શાવે છે કે, એરપોર્ટ્સે પેસેન્જર, સ્ટાફ, રેગ્યુલેટર્સ માટે સુસ્થાપિત પદ્ધતિથી આરોગ્ય અને સલામતીના પગલાંને પ્રાધાન્ય આપ્યું છે.

