અનલોક ૧.૦નો અમલઃ કોરોનાના વધતા કેસ વચ્ચે રાજ્ય પુનઃ ધમધમતું

Wednesday 03rd June 2020 06:45 EDT
 
 

ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત માટે ૩૧મી મેએ અનલોક-૧.૦ની ગાઇડલાઇન જાહેર કરી હતી. સોમવારથી અમલમાં આવનારી નવી ગાઇડલાઇનમાં ગુજરાતમાં રાતે ૯ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા દરમિયાન કર્ફ્યૂ જાહેર કર્યો છે. સવારે ૮થી સાંજે ૭ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ દુકાનો માટે ઓડ-ઇવન પદ્ધતિ પણ અમલી રહેશે નહીં.
કોરોનાની સાથે ધીમે ધીમે લોકડાઉન ખોલવાની દિશામાં અનલોક-૧.૦ના આરંભે કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. રૂપાણીએ કહ્યું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્ક આ નિયમોનું સૌએ ચુસ્ત અમલ કરવાનો રહેશે. સમગ્ર રાજ્યમાં સોમવારથી ૬૦ ટકા એસટી બસ અને શહેરી વિસ્તારમાં સિટી બસ ૫૦ ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલુ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો. ટુ વ્હીલર ઉપર હવેથી કુટુંબના સભ્યો સાથે બે વ્યક્તિની સવારીની છૂટ અપાઈ છે. ફોર વ્હીલર સહિત મોટા વાહનોમાં ડ્રાયવર સહિત ચાર વ્યક્તિ મુસાફરી કરી શકશે. સોમવારથી સચિવાલય અને સરકારી કચેરીઓ નિયમિત રીતે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેંકોમાં પણ નિયમિત કામગીરી શરૂ કરવાનો આદેશ અપાયો હતો.
રાજ્યભરમાં હોટેલ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળ અને મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮મી જૂન સુધી ચાલુ નહીં થાય અને શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો સહિતના ઇન્સ્ટિટયૂટ સંદર્ભે ભારત સરકારના નિર્દેશ મુજબ જુલાઈમાં નિર્ણય કરાશે. એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. રાજ્યભરમાં લીકર શોપ, ઓટો રિક્ષા કેબની સેવા ૧લી જૂનથી, ધાર્મિક સ્થળો, હોટેલ, કલબ, રેસ્ટોરાં, મોલ્સ ૮મી જૂનથી શરૂ કરી શકાશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.

સચિવાલયમાં કામગીરી શરૂ

કોરોના સંક્રમણ અને લોકડાઉનના અઢી મહિના જેટલા સમયગાળા બાદ બીજી જૂને ગાંધીનગરમાં સચિવાલય સંકુલ પૂર્ણ રીતે ધમધમતું થયું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે સ્વર્ણિમ સંકુલમાં પોતાની કચેરીમાંથી કામગીરીની શરૂઆત કરી હતી. આ પહેલાં સ્વર્ણિમ સંકુલના પ્રવેશ દ્વારે મુખ્ય પ્રધાન રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના પ્રધાનોએ બે મિનિટનું મૌન પાળીને કોરોનાના મૃતકોને શ્રદ્વાંજલિ આપી હતી. એ પછી સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ કર્યો હતો. ‘વૈષ્ણવ જન’ના ગાન સાથે કચેરીમાં પ્રવેશ સાથે જ સોમવારે પ્રથમ દિવસે મુખ્ય પ્રધાને નેતાઓ અને અધિકારીઓ સાથે વિવિધ બેઠકો યોજી હતી.

૧૦ હજાર ખેડૂતોની ડિજિટલ સભા

સરકાર દ્વારા અનલોક-૧.૦ની જાહેરાત થયા બાદ ૩૧મી મેએ ૧૦ હજાર ખેડૂતોની ડિજિટલ સભા યોજાઈ હતી. ખેડૂત-ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે, રાજ્યમાંથી મોટા ભાગના મજૂરો પોતાના વતન હિજરત કરી ગયા છે. જેથી ખેતમજૂરો મળવા મુશ્કેલ બનશે અને જે મળશે તેમને વધુ મહેનતાણું ચૂકવવું પડશે. આમ લોકડાઉન ખૂલ્યા પછી પણ આગામી દિવસોમાં ખેડૂતો માટે વાવેતર કરવું મુશ્કેલ બની રહેશે. આ ઉપરાંત બિયારણ પણ ખૂબ મોંઘું છે. ધિરાણની બાબતને લઈને પણ પ્રશ્નો ઊભા થશે. ખેડૂતો પાસે માલનો જથ્થો છે, પરંતુ હાથ પર રોકડ નથી, લોકડાઉનમાં ખેડૂતોને શાકભાજી અને ફળો ફેંકી દેવા પડયા છે. ટ્રાન્સપોર્ટેશન મામલે પોલીસની વધુ પડતી કડકાઈના કારણે ખેડૂતોના હાથમાં પૈસા રહ્યા નથી. વિપરીત રીતે નુકસાન થયું છે. લોકડાઉન વખતે મોટા ભાગના ખેડૂતોને ખેતપેદાશો પડી રહી હતી. અત્યારે મનરેગાના કામો શરૂ થયાં છે એટલે ખેતમજૂરો હવે સરળતાથી નહીં મળે. ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનથી મજૂરો આવતા હોય છે. દાહોદ પંચમહાલના પટ્ટામાં મધ્ય પ્રદેશના તો દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના મજૂરો કામ કરે છે. મહારાષ્ટ્રથી તો કદાચ મજૂરો આવે પણ ખરા, પરંતુ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી જલદી આવે તેમ લાગતું નથી. આમ મજૂરો વિના આગામી દિવસોમાં બિયારણ કરવું મુશ્કેલ બની રહેશે.

સૌ પ્રથમવાર ભક્તો વિના રથયાત્રા

કોરોનાના સંકટ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૩મી રથયાત્રા ૨૩ જૂન અષાઢી બીજે દર વર્ષની જેમ પરંપરાગત રીતે નીકળશે ખરી, પણ તેમાં હજારો ભક્તો અને ભજનમંડળીઓ નહીં હોય. રથયાત્રામાં માત્ર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્ર સાથે ત્રણ રથમાં નીકળશે પરંતુ તેમાં ભીડ જોવા નહીં મળે. રથયાત્રાના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમવાર ત્રણ રથ સિવાય ભક્તો કે અન્ય વાહનો જોડાશે નહીં. ભગવાનના મામેરામાં એક-બે વ્યક્તિને આમંત્રિત કરાશે. જગન્નાથજી મંદિર ટ્રસ્ટની સોમવારે યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો.

અમદાવાદની સ્ટાર હોટેલોમાં દારૂ ખરીદવા ભીડ જામી

રાજ્યમાં અનલોક - ૧ લાગુ થયાના પ્રથમ દિવસે સ્ટાર હોટેલોમાં લીકર શોપના દરવાજા ખૂલતાં લીકર પરમિટ ધરાવતા લોકોએ દારૂ ખરીદવા ભીડ જમાવી હતી. પરમિટધારકોની ભીડને પગલે હોટેલમાં બેન્કવેટ હોલમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની સુવિધા કરવી પડી હતી. અન્ય રાજ્યમાં જોકે લીકર શોપ શરૂ કરાઈ હતી, પણ ગુજરાતમાં લોકડાઉન પાર્ટ-૫ના અંત સુધી લીકર શોપ ખોલવા પર રાજ્ય સરકારે મનાઇ ફરમાવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લીકર શોપ શરૂ કરવા માગ ઉઠી હતી અને હોટેલ રેસ્ટોરાં એસોસિશન ઓફ ગુજરાતે મુખ્ય પ્રધાનને પત્ર લખીને રજૂઆત સુદ્ધાં કરી હતી કે અન્ય રાજ્યમાં લીકર શોપને છૂટ અપાઇ હોય તો ગુજરાતમાં કેમ નહીં? હોટેલ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, રોજ ૨૦૦થી વધુ પરમિટધારકો એમને ફોન કરીને પૂછતાં કે લીકર શોપ ક્યારે ખૂલશે?

અનલોક ૧.૦ઃ રાજ્યમાં ક્યાં શું બંધ? શું શરૂ? 

• હોટેલ, કલબઃ ૮ જૂનથી ચાલુ
• રેસ્ટોરાં, ભોજનાલયઃ ૮ જૂનથી બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સિંગના અમલ સાથે શરૂ કરવા મંજૂરી
• મોલ્સ, મોલમાં રહેલી દુકાનોઃ ૮ જૂનથી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરૂ કરવાની મંજૂરી
• છૂટક દુકાનોઃ સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ
• ઈન્ડસ્ટ્રીઝઃ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ૧૦૦ ટકાની ક્ષમતાથી કામની મંજૂરી
• તમામ ધાર્મિક સ્થળોઃ ૮ જૂનથી કોઈ ફંક્શન કે મેળાવડા વગર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરી શકાશે.
• અંતિમક્રિયામાં ૨૦ અને લગ્નમાં ૫૦ને હાજર રહેવાની મંજૂરી
• ફેરિયાઓઃ ડેઝિગ્નેટેડ કરેલા વિસ્તારમાં ૮ જૂન પછી શરૂ થઈ શકે.
• પાનની દુકાનોઃ માત્ર વસ્તુ ઘરે લઈ જવાની મંજૂરી મળી.
• દારૂની દુકાનોઃ માત્ર પરમિટ હોલ્ડર્સને મંજૂરી.
• સલૂન - બ્યુટી પાર્લરઃ સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ કરવા મંજૂરી.
• લાઈબ્રેરીઃ ૬૦ ટકાની ક્ષમતાથી ખોલી શકાય.
• GSRTCની બસ સેવાનો ૬૦ ટકા ક્ષમતા સાથે પ્રારંભ થયો.
• ઓટો રિક્ષાઃ ડ્રાઈવર - બે મુસાફર.
• કેબ, ટેક્સી, કેબ એગ્રીગેટર્સ, એસયુવી, ખાનગી વ્હીકલ્સઃ ૧ ડ્રાઈવર - બે વ્યક્તિ. જો છ બેઠકની વ્યવસ્થા હોય તો ૧ ડ્રાઈવર - ૩ વ્યક્તિને મુસાફરીની મંજૂરી મળી.
• ટુ વ્હીલરઃ ૧-૧ને મંજૂરી.
• ખાનગી ઓફિસઃ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંજૂરી, જોકે વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન.
• સરકારી ઓફિસઃ કાર્યરત
• ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનઃ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કાર્યરત
• માલસામાન વહન કરતાં વાહનોને સમગ્ર રાજ્યમાં ફરવાની છૂટ
અમદાવાદ-સુરત અને કન્ટેઈનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં શું બંધ?
• તમામ શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ, સંશોધન, કોચિંગ સંસ્થાઓ
• જીમ
• સિંગલ સ્ક્રીન, મલ્ટીસ્ક્રીન સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ
• કોઈપણ પ્રકારના મોટા જાહેર સમારંભ
• સાંસ્કૃતિક અને થિયેટર કાર્યક્રમ
• સ્વિમિંગ પૂલ, જાહેર બગીચાઓ, ઝૂ, વોટર પાર્ક્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક
• પુરાતત્ત્વ વિભાગની સાઈટ, દરિયાકાંઠા અને પ્રવાસન સ્થળ
સિટી બસ સેવા
• સિટી બસ સેવાઃ અમદાવાદ - સુરતમાં ૫૦ ટકાની ક્ષમતા સાથે મંજૂરી મળી (કન્ટેઈનમેન્ટ ઝોન બહાર) અન્ય શહેરો (૬૦ ટકાની ક્ષમતા સાથે મંજૂરી – કન્ટેઈનમેન્ટ ઝોન બહાર)
ખાનગી બસ સેવા
• ખાનગી બસ સેવાઃ અમદાવાદ – સુરત જેવા કન્ટેઈનમેન્ટ જાહેર શહેરોમાં કેન્દ્રની ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે અંશતઃ મંજૂરી મળી. જેમાં GSRTCની જેમ સંચાલન - ૫૦ ટકા બેઠકની ક્ષમતા સાથે અને ઉભા રહેવાનું નહીં. અન્ય શહેરમાં GSRTCની જેમ સંચાલન નક્કી કરવામાં આવ્યું. તેમાં ૬૦ ટકા બેઠકની ક્ષમતા સાથે અને કોઈ પણ મુસાફરે ઉભા રહેવાનું નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter