ગાંધીનગર: કોરોના મહામારીને કારણે ગુજરાતમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ છેલ્લા ૭ મહિનાથી સદંતર બંધ છે. હવે દિવાળી પર્વ બાદ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ કઈ રીતે ખોલવી? તેની પ્રાથમિક ચર્ચા માટે શિક્ષણ પ્રધાનના વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સોમવારે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી. માત્ર નિષ્કર્ષ આવ્યો હતો કે, ૩૧મી ઓક્ટોબરે અનલોક-૬.૦ માટે નવી ગાઇડલાઇન કેન્દ્ર સરકાર બહાર પાડે તેને ધ્યાનમાં લઈને રાજ્યની શાળા-કોલેજો માટે ગાઇડલાઇન તૈયાર કરવી. આ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્મા, પ્રાથમિક શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે તેમજ શિક્ષણ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હાજર રહ્યાં હતા.