ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર માટે ઇમરાન ખાન સરકારે ભૂમિ ફાળવી કલંક છુપાવવાની કોશિશ કરી છે. ભાગલા પછી હજારો મંદિરો, લાખો મૂર્તિઓને નષ્ટ કરનારી કટ્ટરતા એટલી હદે પાકિસ્તાનમાં હતી કે હિન્દુઓ ૭૦ વર્ષ સિંધ કોર્ટમાં કેસ લડ્યા અને જીત્યા છતાં ૧૯૮૦ના દાયકામાં કરાચી સ્વામીનારાયણ મંદિરની મૂર્તિઓ ભારત લાવવી પડી હતી. એ અંગેની લેખકોએ વિસરાયેલા પૃષ્ઠની વાત અહીં કરી છે. કરાચી સ્વામીનારાયણ મંદિર બાંધવામાં માવજી મુસા કન્સ્ટ્રક્શન કંપનીનો મોટો સાથ હતો. કાલુપુર સ્વામીનારાયણ મંદિરના સંત ગુતાતીતાનંદજીએ રાજકોટના માવજી મિસ્ત્રીને કરાચી જવા પ્રેરણાા આપી હતી. તેઓએ કરાચીની મુલાકાત પણ લીધી. મુસાભાઈ સાથે ભાગીદારી કરી અને કરાચી બંદરની જેટી ‘માવજી મુસા’એ બાંધી. ખૂબ કમાયા. ઇ.સ., ૧૮૨૩માં આજથી ૧૯૭ વર્ષ પહેલાં કરાચી ગાડીખાતા વિસ્તાર, બંદર રોડ પર એક લાખ વાર ભૂમિમાં સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ અમદાવાદ દેશ નરનારાયણ ગાદીના દ્વિતીય આચાર્ય કેશવપ્રસાદજી મહારાજના હસ્તે થયો હતો.
પાકિસ્તાન હતું જ નહીં, લોહાણા, નગરપારકરના બ્રાહ્મણ તેમજ સ્થાનીય હિન્દુઓ માટે કરાચીનું સ્વામીનારાયણ મંદિર સનાતન મૂર્તિઓનું કેન્દ્ર હતું. અહીં ગણેશજી, શિવ પરિવાર, રામ-કૃષ્ણ સહિતની પ્રતિમાઓ સ્થાપિત હતી. આઝાદી પહેલાં ૧૦૦ વર્ષ સુધી આ મંદિર હિંદુઓની આસ્થા, સત્સંગનું કેન્દ્ર બની રહ્યું... ૧૯૪૭ પછી પાકિસ્તાનમાં અન્ય હિન્દુ મંદિરની જેમ આ મંદિર પણ કટ્ટરતાનું ભોગ બન્યું. અમદાવાદ દેશ હેઠળનું મંદિર હોવાથી કાલુપુર સ્વામીનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી ૧૯૮૮-૮૯માં ચાર છ મહિના ત્યાં રોકાયા હતા. ત્યારે મંદિરના સંચાલન અંગે કરાચી કોર્ટમાં કેસ ચાલતો હતો. ફઝલ એન્ડ કંપનીની કેસના વકીલ તરીકે હતી. સ્થાનિક કટ્ટર સમુદાય મંદિરનો કબજો ઇચ્છતા હતા. સિંધ કોર્ટમાં છ દાયકા આ અંગેનો કેસ ચાલ્યો. મંદિર પરિસર એક લાખ વારનું છે. ઉતારા-આવાસ છે. તેના ભાડામાંથી પૂજારીને પગાર આપવાની વર્ષોની વ્યવસ્થા છે. હરિકૃષ્ણ શાસ્ત્રીએ સ્થાનિક સંચાલકોની મિટિંગ કરી. ઠરાવ કરાવ્યા. ભાડાંની આવક જમા કરાવવા બેંક ખાતા ખોલાવ્યાં પણ ત્રાસ ઘટ્યો નહીં. અંતે નારાયણપ્રસાદ શાસ્ત્રી સ્વામીએ કરાચી જઈ યેનકેન પ્રકારે મૂર્તિઓ ઉતિષ્ઠ કરી ભારત લાવ્યા. હવે આ મૂર્તિઓ રાજસ્થાનના ખાણ ગામના એક મંદિરમાં પ્રતિષ્ઠિત છે. રહ્યાસહ્યા સ્થાનિક હરિભક્તો માટે બીજી મૂર્તિઓ પધરાવી આપી. હાલ નગરપારકરના મોહન મહારાજ પરિવારના સભ્યો સેવા-પૂજા કરે છે. ખાણ બ્રહ્માનંદસ્વામીનું જન્મસ્થાન છે. આજે પણ કરાચી સ્વામીનારાયણ મંદિર ૭-૧૨ હક્કપત્રકમાં આચાર્ય વાસુદેવપ્રસાદજી મહારાજનું નામ છે.
આઝાદી પછી પણ સંતો ત્યાં આવ-જા કરતા હતા. ભુજ સ્વામીનારાયણ મંદિરના સંતો પણ ગયા હતા. એ વાત યાદ કરતા કેશવપ્રસાદ સ્વામી કહે છે, અગાઉ મોટી સભા થતી. લાઉડ સ્પીકર પણ વગાડવા દેતા હતા, પણ ધીમે ધીમે રાષ્ટ્રો વચ્ચે સંબંધ બગડ્યા અને બધું બંધ થઈ ગયું.
ગાંધીધામ રહેતા નવીનભાઈપિનારાનું બાળપણ કરાચીમાં વિત્યું છે. દાદા ભગવાનજીભાઈની ‘આઈસ ફેકટરી’ નામે બરફનું કારખાનું હતું, પરિવાર સત્સંગી. એમણે વિગત આપતાં ઉમેર્યું કે, મેં કરાચી મંદિરની ભવ્યતા જોઈ છે. બંચપાલ પથ્થરનું શિખરબંધ મંદિર છે. કુંજવિહારી હરિકૃષ્ણ અને શ્રીજી મહારાજ, સુખશૈયાના તખતા છે. શિવ અને અંબાજીનું મંદિર પણ હતું. મંદિરના મુખ્ય ઘુમ્મટમાં કૃષ્ણ ભગવાનની લીલા ચિત્રિત હતી. વચ્ચે મોટું ઝુમ્મર હતું. ગણેશજી અને કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ હતી. પીપળાનું મોટું વૃક્ષ હતું. ગૌશાળા પણ હતી. નવીનભાઈ કહે છે, મારી ઉંમર ૯-૧૦ વર્ષની. મને આટલું યાદ છે. આઝાદીના અરસામાં કરાચીથી ભાગી ભારત આવેલો નવીનભાઈનો પરિવાર મંદિરોના ધ્વંસનો સાક્ષી છે. મનોરાબેટાના વરુણદેવ મંદિરનો તો ઉપયોગ જ ફેરવી દેવાયો હતો. આઝાદી બાદ પાકિસ્તાને બંદર રોડને મહમ્મદ અલી ઝીન્હા રોડ નામ આપ્યું. મંદિરમાં સેવા-પૂજા લથડી, રાજસ્થાનના એક સત્સંગી સંતોની મદદથી મૂળ મૂર્તિઓ ભારત લાવ્યા.
સંસ્મરણો વાગોળતાં નવીનભાઈ પિનારા કહે છે, ૨૦૦૪માં મંદિરનો ૧૫૦મો પાટોત્સવ ઊજવાયો હતો. ‘શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ એસ્ટેટ ટ્રસ્ટ’ આ મંદિરનો કાર્યભાર સંભાળે છે. ટ્રસ્ટમાં ૯ સભ્યો છે. જનરલ સેક્રેટરી ત્યાંના આનંદ હોતવાણી છે. જે હાઈ કોર્ટનાં જજ છે. કારણ કે હાલ મંદિર કોર્ટના આધીન છે. બીજા સભ્યોમાં ભેરૂમલ આડવાણી સહિતના સિંધી હિન્દુઓ છે. મંદિર પરિસરના ઉતારા સરકારે કબજે કરી જિલ્લા પંચાયત કચેરી બનાવી નાંખી હતી. અહીં જન્માષ્ટમી, હરિજયંતી, દિવાળી, હોળી જેવા ઉત્સવો દબાતા સૂરે ઊજવાય છે. આઝાદી નથી, મંદિર છે એટલે બ્રિટન વસતા કચ્છી હરિભક્તોને કરાચી મંદિરની માવજતમાં રસ છે. ઇમરાન ખાનના લંડન સ્થિત વકીલના સંપર્કમાં છે અને સ્થિતિ સુધરે તો કરાચી જઈ મંદિરની માવજતની યોજના છે. જેમાં ભુજ સ્વામીનારાયણ મંદિરના સંતોની પ્રેરણા છે. અમદાવાદ દેશ ગાદીનાં પૂર્વાચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજ પણ કરાચી જઈ આવ્યા છે, પણ હાલ ઘણા સમયથી આવ-જા બંધ છે. મંદિર પ્રવેશદ્વારે આચાર્યોનું અને મંદિરનું નામ લખેલું પાટિયું પણ છે. ઇમરાન સરકારે ઇસ્લામાબાદમાં કૃષ્ણમંદિર માટે ભૂમિ ફાળવ્યાના સમાચાર ફેલાયા કે બ્રિટન સ્થિત હિન્દુઓને હયાત મંદિરોને ધબકતો કરવા આશા જાગી તેમાં આ કરાચી સ્વામીનારાયણ સામેલ છે જેનો કચ્છ સાથે નાતો છે.
• બ્રિટન સ્થિત મિત્ર જાદવજીભાઈ ગાજપરિયાએ ઈમરાન ખાનના લંડન સ્થિત વકીલ સાથે વાત કરી
• આગામી સમયમાં પાકિસ્તાનના કરાચી શહેરમાં સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લેવાની સંભાવના પેદા થઈ
• મંદિરના ઇતિહાસને ઉજાગર કરતી ચોક્કસ વિગતો કાલુપુર સ્વામીનારાયણ મંદિરના પૂર્વ મહંત તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસેથી મળી અધૂરું કામ નવીનભાઈ પીનારા એ કરી આપ્યું