અમદાવાદ એરપોર્ટમાં સતત ૩ સપ્તાહથી ૫૦ ટકાથી વધુ ફ્લાઈટ કેન્સલઃ રિફંડમાં ઠાગાઠૈયા

Wednesday 17th June 2020 10:18 EDT
 
 

અમદાવાદઃ કોરોનાના સંકટ વચ્ચે અમદાવાદ સહિત દેશના મોટાભાગના એરપોર્ટમાં છેલ્લા ૩ સપ્તાહથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. જોકે, છેલ્લા ત્રણ સપ્તાહથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી જ દરરોજની ૫૦ ટકાથી વધુ ફ્લાઇટ કેન્સલ થઇ રહી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી હાલમાં દરરોજની સરેરાશ ૯૦ ફ્લાઇટની અવર-જવર છે. જોકે, આ પૈકીની અડધોઅડધ ફ્લાઇટ હાલ કેન્સલ થાય છે. આ અંગે એરલાઇન્સ દ્વારા એવો દાવો કરાયો છે કે કોરોના અને લોકડાઉન બાદ લોકો હાલમાં ખૂબ જ જરૂરી હોય તો જ એક શહેરથી બીજા શહેરમાં ફ્લાઇટથી મુસાફરી કરે છે. અગાઉ બિઝનેસ કોન્ફરન્સને કારણે પણ ફ્લાઇટમાં વધારે સંખ્યામાં મુસાફરો જોવા મળતા, પરંતુ હવે મોટાભાગની કોન્ફરન્સ પણ વિવિધ મોબાઇલ એપ દ્વારા જ યોજાય છે. આ સિવાય કોઇ વ્યક્તિને કોઇ ખૂબ જ અંગત કામ હોય તો જ તે ફ્લાઇટમાં જવાનું પસંદ કરે છે અને પ્રવર્તમાન સ્થિતિમાં ટુરિઝમ સેક્ટર સાવ ઠપ્પ થઇ ગયું છે. આ પરિબળોને પગલે હાલ જે ફ્લાઇટ ઓપરેટ થાય છે તેમાં પણ કુલ ક્ષમતાના ૬૦ ટકાથી ૭૦ ટકા મુસાફરો માંડ હોય છે. જોકે આ બધા વચ્ચે એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ કેન્સલેશન અંગે મુસાફરોને આગોતરી જાણ પણ કરાતી નહીં હોવાની તેમજ રિફંડ આપવામાં પણ ઠાગાઠૈયા થતા હોવાની ફરિયાદો વધી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter