અમદાવાદઃ આર્થિક સંકટને કારણે જેટ એરવેઝે અનિશ્ચિત સમય માટે તમામ ફ્લાઇટ બંધ કરતાં મુસાફરો પાસેથી વધુ નાણા ખંખેરવા અન્ય કેટલીક એરલાઇન્સે તેમના એરફેરમાં પાંચ ગણો વધારો કરી દીધો છે. અમદાવાદથી મુંબઇનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂ. ૧૮૦૦થી રૂ. ૨ હજાર હોય છે અને તે હવે રૂ. ૧૦૮૦૦ને પાર થયું છે.
એરલાઇન્સે જે શહેરમાં મુસાફરોની વિમાન દ્વારા સૌથી વધુ અવર-જવર નોંધાતી હોય તેના જ ભાડામાં બેફામ વધારો કર્યો છે. આ સ્થિતિને પગલે વેકેશનમાં છેલ્લી ઘડીએ જેઓ બહાર ફરવા જવાનું આયોજન કરે તેમની સ્થિતિ વધુ તંગ થવાની સંભાવના છે. કેમકે, ટ્રેનની ટિકિટમાં ખૂબ જ લાંબુ વેઇટિંગ લિસ્ટ છે જ્યારે એરલાઇન્સે તેમના એરફેરમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે.

