અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનાઃ દીવના પ્રવાસીનો ચમત્કારિક બચાવ

Thursday 12th June 2025 08:20 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનાસ્થળની ભયાવહ તસવીરો જોઇને બહુમતી વર્ગ માનતો હતો કે ભાગ્યે જ કોઇ પ્રવાસી બચ્યો હશે. ઘટનાસ્થળે જે પ્રકારે વિમાનનો કાટમાળ નાના નાના ટુકડાઓમાં વેરાયેલો હતો તેના પરથી પણ આવી આશંકા બળવતર બનતી હતી. જોકે હવે મોડી સાંજે એક વિમાન પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયાના સમાચાર આવ્યા છે. આ સદભાગી પ્રવાસીનું નામ રમેશભાઇ ભાલિયા છે અને તેઓ દીવના વતની છે. રાહત બચાવ કાર્ય દરમિયાન તેમની ભાળ મળી હતી. રમેશભાઇએ કહ્યું હતું કે વિમાન તૂટી પડ્યું પછી હું બેભાન થઇ ગયો હતો, અને પછી શું થયું તેની મને કંઇ જ ખબર નથી. હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે આજુબાજુ વિમાનનો કાટમાળ અને મૃૃતદેહ વેરાયેલા પડેલા જોવા મળતા હતા.

લંડન જઇ રહેલી આ ફ્લાઇટમાં કુલ 242 પ્રવાસી હતા જેમાં 128 પુરુષો, 114 સ્ત્રીઓ અને 14 બાળકોનો સમાવેશ થાય છે. શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયેલી એર ઇંડિયાની ફ્લાઇટ એઆઇ 171 ટેઇક ઓફ થયાની પાંચ જ મિનિટમાં તૂટી પડી હતી. દુર્ઘટના સ્થળનું દૃશ્ય જ એટલું ભયાવહ હતું કે ભાગ્યે જ કોઇના બચવાની શક્યતા નહોતી. 300 પેસેન્જરની ક્ષમતા ધરાવતા આ ડ્રીમ લાઇનર બોઇંગ 787માં 169 ભારતીય, 53 બ્રિટીશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયનનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter