અમદાવાદઃ અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાના પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. સરદાર પટેલ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, બીજી કોઇ જાહેરાત ના થાય ત્યાં સુધી એરપોર્ટ પરથી કોઇ ફ્લાઇટ ઓપરેટ થશે નહીં. બીજી તરફ, એર ઇંડિયાએ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પ્રવાસીઓના પરિવારજનોની મદદ માટે હેલ્પલાઇન નંબર 1800 5691 444 જાહેર કર્યો છે. જ્યારે અમદાવાદ પોલીસે ઇમરજન્સી નંબર 07925620359 જાહેર કર્યો છે. આ નંબર પર ફોન કરીને સ્વજનો વિમાન દુર્ઘટના અંગેની જાણકારી મેળવી શકશે.
યુકે સરકારે પણ પ્રવાસીઓના સ્વજનોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી અમે માહિતગાર છીએ. યુકે સરકાર ભારતના સ્થાનિક અધિકારીઓ સાથે મળીને વધુ વિગત મેળવવા અને અસરગ્રસ્તોની સહાય માટે કામ કરી રહી છે. જે બ્રિટિશ નાગરિકોને કોન્સ્યુલર સહાયની જરૂર હોય અથવા જેઓ તેમના મિત્રો અથવા પરિવાર વિશે ચિંતિત હોય તેમણે 020 7008 5000 પર કોલ કરી શકે છે.