અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોનીને જોડતી સી-પ્લેન સેવાનો જાતે પ્રવાસ કરીને પ્રારંભ કરાવ્યો હતો. આ સી-પ્લેન સેવા શરૂ થયાને માંડ મહિનો થયો છે ત્યાં સુવિધા કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરાઇ છે. સી-પ્લેન સર્વિસ શરૂ કરાયાના એક જ મહિનામાં મેઈન્ટનન્સના કારણોસર સી-પ્લેનની સેવાઓ હાલ સસ્પેન્ડ કરાઈ હોવાનું કારણ અપાયું છે. આ સેવાની સંચાલક સ્પાઈસ જેટ એરલાઇન્સના પ્રવક્તાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલાયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૯ બેઠક ધરાવતું ટ્વિન ઓટ્ટર ૩૦૦ વિમાન માલદીવની કંપનીની માલિકીનું હોવાથી તેને શનિવારે રાત્રે માલદીવ પાછું મોકલાયું હતું. સરદાર જન્મજયંતી - ૩૧ ઓક્ટોબરે રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી - કેવડિયા વચ્ચે સીપ્લેનની સર્વિસ શરૂ કરાઈ હતી.
ભારત સરકારના ‘ઉડે દેશ કા આમ નાગરિક’ (UDAN) પ્રોજેક્ટ અંતર્ગત આ સૌપ્રથમ સી-પ્લેન સેવા ઓપરેટ કરાઇ હતી. સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે, વિમાનનું મેઈન્ટેનન્સ જરૂરી હોવાથી સી-પ્લેન સેવાઓ સસ્પેન્ડ કરાઈ છે. અમદાવાદ ખાતે મેઈન્ટેનન્સ ફેસિલિટી (ડ્રાય એન્ડ વેટ ડોક) હજુ તૈયાર કરાઈ રહી હોવાથી વિમાનને માલદીવ મોકલાયું છે. સી-પ્લેન પરત આવ્યા પછી સર્વિસીસ ફરી શરૂ કરાશે. એવિએશન સેફ્ટી કન્સલ્ટન્ટ કેપ્ટન મોહન રંગનાથને જણાવ્યું હતું કે, કોઈ પણ વિમાનનું ઉડ્ડયન શરૂ કરાયાના એક જ મહિનામાં મેઈન્ટેન્સ માટે મોકલાતું નથી. આનો મતલબ એ થાય કે, તેમણે જરૂરી પેપરવર્ક કર્યું નથી. આ સર્વિસ શરૂ કરવા માટે ક્લીયરન્સ સર્ટિફીકેટ આપતી વેળા યોગ્ય પ્રોસેસ હાથ ધરાઈ છે કે કેમ તે વિશે પ્રશ્નો ખડા થયા છે.