અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સર્વિસ શરૂ થયાના એક માસમાં સસ્પેન્ડ

Saturday 05th December 2020 04:53 EST
 
 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોનીને જોડતી સી-પ્લેન સેવાનો જાતે પ્રવાસ કરીને પ્રારંભ કરાવ્યો હતો. આ સી-પ્લેન સેવા શરૂ થયાને માંડ મહિનો થયો છે ત્યાં સુવિધા કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરાઇ છે. સી-પ્લેન સર્વિસ શરૂ કરાયાના એક જ મહિનામાં મેઈન્ટનન્સના કારણોસર સી-પ્લેનની સેવાઓ હાલ સસ્પેન્ડ કરાઈ હોવાનું કારણ અપાયું છે. આ સેવાની સંચાલક સ્પાઈસ જેટ એરલાઇન્સના પ્રવક્તાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલાયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૯ બેઠક ધરાવતું ટ્વિન ઓટ્ટર ૩૦૦ વિમાન માલદીવની કંપનીની માલિકીનું હોવાથી તેને શનિવારે રાત્રે માલદીવ પાછું મોકલાયું હતું. સરદાર જન્મજયંતી - ૩૧ ઓક્ટોબરે રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી - કેવડિયા વચ્ચે સીપ્લેનની સર્વિસ શરૂ કરાઈ હતી.
ભારત સરકારના ‘ઉડે દેશ કા આમ નાગરિક’ (UDAN) પ્રોજેક્ટ અંતર્ગત આ સૌપ્રથમ સી-પ્લેન સેવા ઓપરેટ કરાઇ હતી. સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે, વિમાનનું મેઈન્ટેનન્સ જરૂરી હોવાથી સી-પ્લેન સેવાઓ સસ્પેન્ડ કરાઈ છે. અમદાવાદ ખાતે મેઈન્ટેનન્સ ફેસિલિટી (ડ્રાય એન્ડ વેટ ડોક) હજુ તૈયાર કરાઈ રહી હોવાથી વિમાનને માલદીવ મોકલાયું છે. સી-પ્લેન પરત આવ્યા પછી સર્વિસીસ ફરી શરૂ કરાશે. એવિએશન સેફ્ટી કન્સલ્ટન્ટ કેપ્ટન મોહન રંગનાથને જણાવ્યું હતું કે, કોઈ પણ વિમાનનું ઉડ્ડયન શરૂ કરાયાના એક જ મહિનામાં મેઈન્ટેન્સ માટે મોકલાતું નથી. આનો મતલબ એ થાય કે, તેમણે જરૂરી પેપરવર્ક કર્યું નથી. આ સર્વિસ શરૂ કરવા માટે ક્લીયરન્સ સર્ટિફીકેટ આપતી વેળા યોગ્ય પ્રોસેસ હાથ ધરાઈ છે કે કેમ તે વિશે પ્રશ્નો ખડા થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter