અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટૂંક સમયમાં વિઝા ઓન અરાઇવલની સુવિધા વિદેશી પ્રવાસીઓને મળતી થશે. જે શરૂ થતા જ વિદેશી પ્રવાસીઓનું આગમન વધશે, પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.
ગાંધીનગરમાં જાન્યુઆરીમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અને ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ વખતે વિદેશમાંથી મોટી સંખ્યામાં ડેલિગેટ્સ આવ્યા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વિઝા ઓન અરાઇવલની સુવિધા ન હોવાથી તેમને વાયા મુંબઇ-દિલ્હીથી આવવું પડયું હતું. હવે આ સુવિધા માટે દેશના છ નોન મેટ્રો એરપોર્ટની પસંદગી કરાઇ છે. જેમાં અમદાવાદ સહિત જયપુર, અમૃતસર, ત્રિચી, વારાણસી, ગયાનો સમાવેશ કરાયો છે. પ્રથમ તબક્કામાં તામિલનાડુના ત્રિચી એરપોર્ટ પર વિઝા ઓન અરાઇવલની સુવિધા શરૂ થશે. અત્યારે ૪૦ દેશના નાગરિકોને વિઝા ઓન અરાઇવલની સુવિધા મળે છે. ત્રણ મહિનામાં આ સુવિધા શરૂ થાય તે પહેલા અમદાવાદ એરપોર્ટ પર અત્યારે પ્રવાસીઓને મળતી સુવિધા તેમ જ પેસેન્જર ટ્રાફિકનો પણ સર્વે કરાશે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ પાસે ભારતીય વિઝા હોય તો જ આવી શકતા હતા.
વિઝા ઓન અરાઇવલની સુવિધા અત્યારે દેશના નવ એરપોર્ટ પર ઉપલબ્ધ છે. જેમાં મુંબઇ, ચેન્નાઇ, દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર, ગોવા, કોચી, તિરુઅન્તપુરમનો સમાવેશ થાય છે. આ સુવિધાથી કોઇપણ વિદેશી પ્રવાસીને વિઝાની પ્રોસિજર કરવી પડશે નહીં. વિઝા વગર અમદાવાદ એરપોર્ટ પર ઉતરી શકશે. તે પછી વિઝાની નિયત ફી ભરવાની રહેશે.