અમદાવાદઃ શહેરના જમાલપુર જગન્નાથ મંદિરેથી ૧૮ જુલાઇએ ભગવાન જગન્નાથજીની પરંપરાગત ૧૩૮મી રથયાત્રા નીકળશે. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે પહિંદ વિધિ કર્યા બાદ જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા સાથે રથયાત્રાનો પ્રારંભ થશે. સવારે સાત કલાકે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે.અમદાવાદના નગરજનોને દર્શન આપીને ભગવાનની રથયાત્રા રાત્રે ૮ કલાકે નીજ મંદિરે પરત ફરશે. ૧૮ કિ.મી. લાંબા રૂટમાં રથયાત્રાના અગ્રભાગમાં શણગારેલા ૧૮ ગજરાજો હશે ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ૧૦૧ ટ્રકો તેમ જ અંગ કસરતના પ્રયોગ કરતા ૩૦ અખાડા બાદમાં ૧૮ ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડવાજા રહેશે. રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, જગન્નાથપુરી, નાસિક તથા સૌરાષ્ટ્રથી આવેલા ૨૦૦૦ સાધુ સંતો ભક્તો ઉપરાંત ૧૨૦૦ જેટલા રથ ખેંચતા ખલાસી ભાઇઓ હશે.
આ વર્ષે રથયાત્રા અને રમઝાન ઇદ એક જ દવસે હોવાથી સલામતી માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે અમદાવાદમાં ૨૦ હજાર સુરક્ષા જવાનો ફરજ પર રહેશે.