નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ અગાઉ ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ૧૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલા વખતે આતંકીઓ ગોળીબાર કરી રહ્યા હોવા છતાં બસ ડ્રાઇવર શેખ સલીમ ગફુરે પોતાના જીવ જોખમમાં મૂકી બસ ચલાવવાનું રાખ્યું હતું જેના કારણે બસમાં સવાર બાવન યાત્રીઓના જીવ બચી ગયા હતાં. આ હુમલામાં સાત અમરનાથ યાત્રીઓનાં મોત થયા હતાં અને અન્ય ૧૪ ઘાયલ થયા હતાં. આતંકી હુમલા વખતે બહાદુરી દર્શાવવા બહદલ ગફુરને નાગરિકોને અપાતા બીજા સૌથી મોટા પુરસ્કાર 'ઉત્તમ જીવન રક્ષક પદક'થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ ઉપરાંત ગફુરને રોકડા રૂ. એક લાખનું ઇનામ પણ જાહેર થયું છે.
ચાલુ વર્ષે ૧૦૭ પોલીસ વીરતા મેડલની જાહેરાત પણ થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ૩૮ જવાનો, સીઆરપીએફના ૩૫ જવાનો, છત્તીસગઢના ૧૦, મહારાષ્ટ્રના સાત, તેલંગણાના ૬ પોલીસ જવાનોને આ સન્માન મળશે. વિજેતાઓમાં પાંચ આઇપીએસ અધિકારીઓ પણ સામેલ છે.


