અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાં બળવો કરીને કેસરિયો ખેસ પહેરનારાં બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસમાં તેમના રાહબર રહેલાં અહેમદ પટેલને પાંચેક વર્ષ પહેલાં અમદાવાદના મોટેરામાં એક વિશાળ પ્લોટ ભેટમાં આપ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી વખતે બંનેનાં રાજકીય સબંધોમો અંત આવ્યો હતો અને ધીરે ધીરે સંબંધમાં ઓટ આવતાં આખરે અહેમદ પટેલે તાજેતરમાં રૂ. પાંચ કરોડનો પ્લોટ પણ પરત કરી દીધો છે. સૂત્રો કહે છે કે, કેન્દ્રમાં કોંગ્રેસના શાસન વખતે અહેમદ પટેલના નામે બળવંતસિંહ રાજપૂતે આર્મી કેન્ટીનથી માંડીને ઘણાં કોન્ટ્રાકટ મેળવ્યા હતાં. રાજકીય લાગવગના જોરે બળવંતસિંહે શિક્ષણ, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને રિયલ એસ્ટેટમાં દબદબો જમાવ્યો હતો. બળવંતસિંહ રાજપૂતની રાજકીય કારર્કિદી ઘડવામાં ય અહેમદ પટેલનો અગત્યનો રોલ રહ્યો છે. પાંચેક વર્ષ પહેલાં અગાઉ બળવંતસિંહે મોટેરામાં રૂ. ૩૫૦ કરોડની જમીન ખરીદી હોવાનું કહેવાય છે જયાં પ્લોટિંગ કરીને ‘સ્વ’ નામની સ્કિમ હતી. તે વખતે અહેમદ પટેલને બળવંતસિંહ રાજપૂતે ૩ હજાર વારનો પ્લોટ ગિફ્ટ કર્યો હતો.


