ગાંધીનગરઃ કોરોનાને કારણે રાજ્ય સરકારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ન યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ફલાઇટ બંધ હોવાથી આમ પણ વિદેશથી પતંગબાજો આવી શક્યા ન હોત. બીજી તરફ ઉત્તરાયણ અંગે પણ સરકાર એસઓપી બહાર પાડશે. તેવી શક્યતા છે. આ અંગે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ ૨૬મીએ જણાવ્યું કે, આ વખતે વિદેશી પતંગબાજોને આમંત્રિત કરાયાં નથી. પતંગ મહોત્સવ રદ કરવો તે અંગેના આખરી નિર્ણય આગામી મળનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરીને લેવાય તેવી શક્યતા છે.
આ ઉપરાંત ઉત્તરાયણના તહેવારોમાં કોરોનાની સ્થિતિ અંગે હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે, જેમાં હાઈ કોર્ટે સરકારને ટકોર કરી છે કે, દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? ઉત્તરાયણને લીધે ૨૦૨૧નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. ૨૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે. તમે બધાને રાજી ન રાખી શકો, લોકો નિરાશ થાય તેનો વાંધો નહીં. ઉત્તરાયણ માટે સરકારે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ.