ગાંધીનગરઃ દેશના ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ત્રિરંગાને અદબભેર સલામી આપી હતી. છોટાઉદેપુરમાં યોજાયેલા ધ્વજવંદન બાદ તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું.
કે આઝાદીની લડાઈ વખતે આપણો મંત્ર દેશ માટે મરવાનો હતો. હવે સ્વરાજ પછી દેશ માટે જીવવાનો મંત્ર ગાજતો કરવાનો છે.
એકત્રિત જનસમૂહને સંબોધી રહેલા મુખ્ય પ્રધાને કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરને લગતી કલમ ૩૭૦ અને ૩૫-એને હટાવી દેવા અંગેનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ કારણોસર આપણી ઉજવણી ઐતિહાસિક બની ગઇ છે.
તેમણે ગરીબો, મહિલાઓ વગેરે માટે રાજ્ય સરકારે લીધેલાં પગલાંઓની છણાવટ કરીને કહ્યું હતું કે સરકારે છેવાડાના માણસની સુખાકારી વધે તે માટે પગલાં લીધાં છે અને આગામી દિવસોમાં પણ તે માટે પ્રતિબદ્ધ છે.
રાજ્ય સરકારે પારદર્શક શાસન આણ્યું છે, તેની માહિતી આપતા મુખ્ય પ્રધાને કહ્યું કે, ભ્રષ્ટાચારને ડામવા માટે એન્ટીકરપ્શનને વધુ મજબૂત બનાવી પૂરતી સત્તા આપી છે. ભ્રષ્ટ લોકો માટે કડકમાં કડક કાર્યવાહીની આ રાજ્ય સરકારે છૂટ આપી છે. અનેક કાયદા, નિયમો એવા હતા જેના કારણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળતું હતું. એવા કાયદાઓ, નિયમો બદલાવ્યા. પરવાનાઓમાંથી મુક્તિ આપી છે. તેમણે કહ્યું કે, ખેડૂતોના હિતને આ સરકારે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. ખેડૂતો માટે ખેડૂતોને વ્યાજના ખપ્પરમાંથી દૂર કરવા રૂ. ૫૦૦ કરોડ રિવોલ્વિંગ ફંડ પણ ઉભું કર્યું છે. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતના તમામ કિસાનોને આવરી લીધા છે. ટેકાના ભાવની ખરીદીમાં રૂ. ૮૦૦૦ કરોડની ખરીદી કરી છે.
રૂપાણીએ જણાવ્યું કે, નર્મદા ડેમ તેના ઇતિહાસમાં પહેલીવાર ૧૩૧ મીટરે ભરાયો છે. હવે મા નર્મદાના નીર ગુજરાતની કૃષિ ક્રાંતિના છડીદાર બન્યા છે. આ સાથે રાજ્યએ વિવિધ સાતત્યપૂર્ણ વિકાસની વિવિધ માહિતી પોતાના સંદેશમાં રજૂ કરી હતી.
મુખ્ય પ્રધાને દ્રઢ સંકલ્પ વ્યક્ત કરતા કહ્યું કે, ક્લિન એનર્જી અને આવનારી પેઢીને શુદ્ધ પર્યાવરણ મળે તે માટે નક્કર પગલાં લઈ રહ્યાં છીએ. હાલ ૯૦૦૦ મેગાવોટને ૨૦૨૨ સુધીમાં ૩૦,૦૦૦ મેગાવોટ સુધી લઈ જવું છે.
આગામી ત્રણ વર્ષમાં છ લાખ ઉપરાંત ઘરો સોલર રૂફટોપ યોજના અન્વયે આવરી લેવાશે. આ રીતે કુલ ૧૮૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદનનો આપણો લક્ષ્યાંક છે. આ વર્ષે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ કરી છે. ગંદા પાણીના નિકાલ માટે રૂ. ૨૨૭૫ કરોડના ખર્ચે ડીપ સી પાઇપલાઇન નાખી રહ્યાં છીએ.
નવા ભારતના નિર્માણ માટે ગુજરાતની પ્રજા નેતૃત્વ લે
નવા ભારતના નિર્માણમાં દરેક ગુજરાતીઓને લીડ લેવા આવાહન કરવાની સાથોસાથ જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતવાસીઓને તેમના સામર્થ્યથી શાનદાર-જાનદાર ગુજરાતનું નિર્માણ કરવા જણાવ્યું હતું. તેની સાથે જ નવા ભારતનું નિર્માણ કરવા માટે દેશ માટે જીવવાની ભાવનાને આત્મસાત કરવાનો કોલ તેમણે આપ્યો હતો. ક્ષણ-ક્ષણ રાષ્ટ્રના ઉત્થાનની સમર્પિત કરવા લોકોને જણાવ્યું હતું.
૭૩માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવતા વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે ગુજરાતની ધરતીના બે મહાન સપૂતો મહાત્મા ગાંધી અને સરદાર પટેલે દેશને આઝાદી અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલે રજવાડાંઓને એક કરીને ભારતને એક રાષ્ટ્ર બનાવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો.
પરંતુ ત્યારબાદ કલમ ૩૭૦ અને ૩૫-એને કારણે ભારતથી અલગ પડી ગયેલા કાશ્મીરને ભારત સાથે એકાકાર કરવાની દિશામાં મહત્ત્વનું પગલું લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ એક રાષ્ટ્રમે દો વિધાન, દો નિશાન અને દો પ્રધાન નહિ ચલેગાના નારા સાથે શહાદત વહોરી લેનારા શ્યામા પ્રસાદ મુખરજીના વિધાનને સાકાર કરી દેખાડયું છે. તેમના બલિદાનને એળે જવા દીધું નથી.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સાત દાયકાયમાં ૪૧૦૦૦થી વધુ લોકોના જીવ ભરખી જનાર કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ દૂર કરીને ખરા અર્થમાં આઝાદીનો અહેસાસ કરાવ્યો છે. આ માત્ર કાશ્મીરનું જ નહિ, ખરા અર્થમાં સમગ્ર રાષ્ટ્રનું આઝાદી પર્વ બની રહ્યું છે. માત્ર સરકાર ચલાવવા કે સત્તામાં ટકી રહેવા માટે શાસન કરવાનો યુગ સમાપ્ત થયો છે. હવે ખરા અર્થમાં વિકાસની દિશામાં આપણે અગ્રેસર થઈ રહ્યા છીએ.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૭૩માં આઝાદી પર્વ નિમિત્તે ગુજરાતની પ્રજાને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે દેશના મહાન વીર નાયકોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું હતું કે સ્વતંત્રતાનું રાષ્ટ્રીય પર્વ આપણને મહાન સ્વાતંત્ર્ય વીરોના અસીમ રાષ્ટ્રપ્રેમ, અપ્રતીમ શૌર્ય અને બલિદાનોની ગાથાનું સ્મરણ કરાવે છે. તેની સાથે જ મહામૂલી આઝાદીના જતન વચ્ચે વધુ પ્રતિબદ્ધ બનવાની પ્રેરણા આપે છે.
રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા તથા નારણસિંહ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, નગરપાલિકા પ્રમુખ નેહાબેન જેસ્વાલ, અંજલીબહેન રૂપાણી, મિના સિંઘ, વરિષ્ઠ અધિકારીઓ સંગીતાસિંઘ, અશ્વિની કુમાર, કલેકટર સુજલ મયાત્રા સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે રૂ. ૫૮ કરોડ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૭૩મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઊજવણી યજમાન નવરચિત છોટાઉદેપુર જિલ્લાને વધુ રૂ. ૫૮ કરોડના વિકાસ કામોની સોગાદ આપી છે. મુખ્ય પ્રધાને બોડેલી ફાટક ઉપર રૂ. ૫૦ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. રૂપાણીએ જિલ્લાના સમગ્ર જીવનમાં વિવિધ ક્ષેત્રે પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરીને સ્વાતંત્ર્ય પર્વને ગૌરવ પર્વ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે આઝાદીમાં ગુજરાતીઓનું બહુ મોટું યોગદાન રહ્યું છે. રાજ્યપાલ તથા મુખ્ય પ્રધાને છોટાઉદેપુર જિલ્લાના ૧૨ નાગરિકોનું સન્માન કરી મેગા સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો.