ગાંધીનગર: વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા, કચ્છમાં રાપરના ધારાસભ્ય પંકજ મહેતા પછી ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીને પણ હવે સ્વાઈન ફ્લૂનો ચેપ લાગ્યો છે.
સોમવારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવેલા સવાલોના જવાબો આપ્યા પછી મોડી સાંજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ શંકરભાઈનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ હોવાનું જાહેર કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ચૌધરી કચ્છના પ્રભારી છે. બે દિવસ પહેલા તેઓ કચ્છમાં આયોજન મંડળની બેઠકમાં રાપરના ધારાસભ્ય પંકજ મહેતા સાથે કારમાં ફર્યા હતા. મહેતાને પણ સ્વાઈન ફ્લૂનો ચેપ લાગ્યો છે. ચૌધરીએ કચ્છ, અમદાવાદની સિવિલ, વી.એસ., પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાની સરકારી હોસ્પિટલની મુલાકાતો પણ લીધી હતી.
રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો બેકાબૂ બન્યો છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોની ઓપીડી સ્વાઇન ફ્લૂના દર્દીઓથી ઊભરાઇ રહી છે. રાજ્યમાં મંગળવાર સુધીમાં ૨૩૧ લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયા છે. જ્યારે નવા ૧૯૦ નવા કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩૫૨૭ કેસ નોંધાયા છે જેમાંથી ૨૧૫૮ લોકો સાજા થઇ ગયા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનિવાલને આખરે સ્વાઇન ફ્લૂના રોગચાળાને ધ્યાને રાખીને જાહેરનામું પ્રસિદ્ધ કરવાની ફરજ પડી છે. જેમાં ચાર લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત પૂર્વ લેખિત મંજૂરી વિના જાહેર સ્થળોએ સભા, સરઘસ, સંમેલન અને મેળાવડા ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.